સેન્ટ્રલ રેલવેમાં CSMT-વિદ્યાવિહાર વચ્ચે બ્લૉક, હાર્બરની ટ્રેનો રદ રહેશે
ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્રૅક, સિગ્નલિંગ સિસ્ટમ તેમ જ ઓવરહેડ ઉપકરણોની જાળવણી અને સમારકામ માટે રવિવારે ૧૨ એપ્રિલે સાંતાક્રુઝ અને ગોરેગામ સ્ટેશન વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લૉક રખાશે. આ બ્લૉક અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી અમલમાં રહેશે. બ્લૉક દરમ્યાન ફાસ્ટ લાઇન પર દોડતી તમામ લોકલ ટ્રેનોને સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. અમુક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, જ્યારે બોરીવલી અને અંધેરીની કેટલીક ટ્રેનો હાર્બર લાઇન પર ગોરેગામ સુધી લંબાવવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેમાં રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર મેગા બ્લૉક રહેશે. CSMTથી સવારે ૧૦.૪૮થી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી ઊપડતી ડાઉન સ્લો લાઇન ટ્રેનો વિદ્યાવિહાર સુધી ડાઉન ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. ઘાટકોપરથી સવારે ૧૦.૧૯થી બપોરે ૩.૫૨ વાગ્યા સુધી ઊપડતી અપ સ્લો લાઇન લોકલ ટ્રેનો વિદ્યાવિહાર અને CSMT વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. દરમ્યાન ટ્રેનો કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર ઊભી રહેશે અને કરી રોડ, ચિંચપોકલી, મસ્જિદ અથવા સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો પર રોકાશે નહીં.
ADVERTISEMENT
હાર્બર લાઇનમાં CSMT–ચૂનાભઠ્ઠી–બાંદરા વચ્ચે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪.૪૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. દરમ્યાન CSMT અને વાશી, બેલાપુર અને પનવેલ ડાઉન અને અપ લાઇનની ટ્રેનો રદ રહેશે.
