માહિમ પોલીસે આ મામલે બાળકીને ત્યજી જનાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
વિક્ટોરિયા સ્કૂલ પાસેની ફુટપાથ પરથી મળેલી નવજાત બાળકી.
માહિમમાં માનવતાને શરમાવે એવી એક હૃદયદ્રાવક ઘટના બની છે જેમાં એક નિર્દયી માતાએ તેની નવજાત બાળકીને મરવા માટે ફુટપાથ પર તરછોડી દીધી હતી. રવિવારે સાંજે માહિમની વિક્ટોરિયા સ્કૂલ પાસેની ફુટપાથ પરથી આ નવજાત બાળકી જીવતી મળી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે બાળકીને ઊંઘની દવા પીવડાવીને ત્યાં મૂકી દેવાઈ હતી, પરંતુ સદ્નસીબે ત્યાંથી પસાર થતી એક વ્યક્તિના પાળેલા શ્વાનની સતર્કતાને લીધે બાળકી વિશે જાણ થઈ હતી. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતાં બાળકીને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જેને કારણે સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો છે. માહિમ પોલીસે આ મામલે બાળકીને ત્યજી જનાર અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
શ્વાન દોરી ગયો બાળકી તરફ
ADVERTISEMENT
માહિમ પોલીસ-સ્ટેશનનાં પોલીસ-ઇન્સ્પેક્ટર સુજાતા વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માહિમમાં રહેતા ઓમકાર હટાળકર રવિવારે રાતે ૮ વાગ્યે પોતાના પાળેલા શ્વાનને લઈને નીકળ્યા હતા ત્યારે શ્વાનનું ધ્યાન વિક્ટોરિયા સ્કૂલ પાસે ઊભેલા પાણીના એક ટૅન્કરની પાછળ ગયું હતું. ત્યાં ફુટપાથ પર વાદળી અને ગુલાબી રંગના કપડામાં વીંટાળેલી એક વસ્તુ નજીક શ્વાન પહોંચ્યો હતો. એ વખતે કંઈક ગરબડ હોવાની શંકા જતાં ઓમકારે કપડું હટાવીને જોતાં એક નવજાત બાળકી જોવા મળી હતી. એ પછી તેમણે તાત્કાલિક પોલીસ કન્ટ્રોલને ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી અમારી ટીમે બાળકીની હાલત જોઈને આસપાસ તેના પેરન્ટ્સની શોધખોળ કરી જોઈ હતી, પરંતુ કોઈ મળ્યું નહોતું. અંતે બાળકીને સાયન હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.’
