સાઇબર સેલે ટેક્નિકલ તપાસને આધારે આરોપીને ઝડપીને બાંદરા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે તેને ૧૦ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં સોંપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઇમેજ બગાડતો અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પ્લેન-ક્રૅશ વિશે ભ્રામક માહિતી આપતો વિડિયો વાઇરલ થયો હતો. એ સંદર્ભે મુંબઈ સાઇબર સેલે જાલના જિલ્લાના એક ગામમાંથી દસમું પાસ આરોપીને પકડ્યો હતો. આરોપીએ ન્યુઝ-ચૅનલોની જૂની ક્લિપિંગ્સ એડિટ કરીને બનાવેલો આ વિડિયો ડિલીટ થાય એ પહેલાં ૧.૫ લાખ લોકો જોઈ ચૂક્યા હતા. સાઇબર સેલે ટેક્નિકલ તપાસને આધારે આરોપીને ઝડપીને બાંદરા કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટે તેને ૧૦ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં સોંપ્યો છે.
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર પાંચના પાટા બદલવાના હોવાથી ૬૦ દિવસનો બ્લૉક
ADVERTISEMENT
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચના ટ્રૅક નવા નાખવાના હોવાથી તાત્કાલિક અમલમાં આવે એ રીતે ૬૦ દિવસનો બ્લૉક લેવામાં આવ્યો છે એમ વેસ્ટર્ન રેલવેએ સોમવારે જાહેર કર્યું હતું. પાંચ નંબરના પ્લૅટફાર્મ પર આવતી અને જતી લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનો હવે દાદર પર જ ટર્મિનેટ થશે અને ત્યાંથી જ ઊપડશે. આ ટ્રેનોમાં ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ, દર બુધવારે અને રવિવારે ઊપડતી હઝરત નિઝામુદ્દીન–મુંબઈ એક્સપ્રેસ, દર મંગળવારે ઊપડતી કાનપુર અનવરગંજ–મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, દર શુક્રવારે ઊપડતી કાઠગોદામ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આગળની સૂચનાઓ ન મળે ત્યાં સુધી આ ટ્રેનો દાદર પર જ ટર્મિનેટ થશે અને ત્યાંથી જ ઊપડશે.
ભીમાશંકર મંદિર હજી ૩૧ મે સુધી બંધ રહેશે
સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભીમાશંકર ૩૧ મે સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આ વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મંદિરમાં ચાલી રહેલાં મોટા પાયાનાં વિકાસકાર્યો અને સિંહસ્થ કુંભમેળાની પૂર્વતૈયારીઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ આ મંદિરમાં એમાં ચાલતા બાંધકામ માટે બંધ કરવામાં આવ્યું હતું અને ૯ એપ્રિલે ફરી ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અધૂરાં કામોને પગલે આ મુદત લંબાવવામાં આવી છે. મંદિરના પરિસરમાં અત્યારે એક ભવ્ય સભાગૃહ અને ગુંબજનું કામ ચાલી રહ્યું છે.
બારામતીની પેટાચૂંટણી માટે ૫૩માંથી ૬ ઉમેદવારો હટી ગયા
દેવેન્દ્ર ફડણવીસે સુનેત્રા પવારને આપી મોટા ભાઈ તરીકે સંપૂર્ણ ટેકાની ખાતરી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને NCPનાં અધ્યક્ષ સુનેત્રા પવારે ૨૩ એપ્રિલે યોજાનારી બારામતી વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના અને પ્રચાર વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસે સુનેત્રા પવારને એક ‘મોટા ભાઈ’ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી સંપૂર્ણ ટેકાની ખાતરી આપી હતી. અજિત પવારના અવસાન બાદ ખાલી પડેલી આ સીટ પર બિનહરીફ ચૂંટણી યોજવાની અપીલ છતાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસે પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે. અત્યાર સુધી સુનેત્રા પવાર અને કૉન્ગ્રેસના આકાશ મોરે સહિત કુલ ૫૩ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં જેમાંથી ૬ પાછાં ખેંચાઈ ગયાં છે. ફૉર્મ પાછાં ખેંચવાની અંતિમ તારીખ ૯ એપ્રિલ છે.
કોપરી બ્રિજ પર ક્રેન નમી પડી, મુંબઈ તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો
થાણેના અત્યંત વ્યસ્ત ગણાતા કોપરી ફ્લાયઓવર પર બુધવારે સાંજે એક ક્રેન અચાનક નમી પડતાં મુંબઈ તરફ જતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે વાહનચાલકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. કોપરી ફ્લાયઓવર પર એલિવેટેડ રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. પોલીસ-અધિકારીના જણાવ્યા મુજબ સાંજે ૪ વાગ્યે ક્રેન ટેક્નિશ્યન ક્રેનને રસ્તાની એક બાજુએ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમ્યાન જૅક હટાવીને ક્રેનને ફેરવતાં જ એનું સંતુલન બગડ્યું હતું અને એકાએક નમી પડી હતી. પીક અવર્સ હોવાથી વાહનોની લાંબી લાઇન લાગી હતી અને ક્રેન હટ્યું ત્યાં સુધી ટ્રાફિક ડાઇવર્ઝન કરવાની ફરજ પડી હતી.
માનખુર્દમાં ૧૪૦૦ ગેરકાયદે ઝૂંપડાંઓ પર બુલડોઝર, ૧૧ એકર જમીન ખાલી થઈ ગઈ
ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડની બાજુમાં માનખુર્દમાં બૉમ્બે સોપ ફૅક્ટરી સાઇટ તરીકે ઓળખાતી સરકારી જમીન પર બાંધેલાં ૧૪૦૦ ગેરકાયદે ઝૂંપડાંઓ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. BMCએ આશરે ૧૧ એકર જમીન પરનું અતિક્રમણ દૂર કરીને જમીન કબજે કરી હતી. ૩ ખોદકામ કરનારા પોક્લેન મશીન, ૭ JCB, ૧૦ ડમ્પર અને બે ડ્રોન સાથે ૨૦૦ મજૂરોએ આ ઝુંબેશ પાર પાડી હતી.
દિંડોરીની કૂવાની ઘટના બાદ તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના
નાશિક જિલ્લાના દિંડોરી ખાતે એક કૂવામાં કાર પડતાં થયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ૯ સભ્યોનાં કરુણ મોત થયાં હતાં. ત્યાર બાદ પ્રશાસન ઍક્શન મોડમાં આવ્યું છે. આ ઘટનાની તપાસ કરવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરવામાં આવી છે. રોડ ઍન્ડ સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન અને બેદરકારીના ગંભીર મુદ્દાઓને ધ્યાને રાખીને આ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. આ પૅનલને એક સપ્તાહની અંદર પોતાનો વિગતવાર રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ અપાયો છે. ગયા શુક્રવારે રાત્રે દિંડોરીમાં એક કાર રસ્તાની બાજુમાં આવેલા પચીસ મીટર ઊંડા અને પાણીથી ભરેલા કૂવામાં ખાબકી હતી. આ ઘટનામાં પરિવારનાં ૬ બાળકો સહિત કુલ ૯ લોકોનાં ડૂબી જવાથી મોત થયાં હતા.
