મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સચિન અહિરની પ્રશંસા કરી હતી અને સાથે જ ‘અહિર’ નામનો અર્થ પણ સમજાવ્યો હતો
સચિન અહિર
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા રાજકીય ઊલટફેર વચ્ચે શિવસેના (UBT)ના વિધાન પરિષદના સભ્ય સચિન અહિર બુધવારે શાસક પક્ષ મહાયુતિના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ડેપ્યુટી ચૅરમૅનપદે બિનહરીફ ચૂંટાયા છે.
આ પદ માટે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) દ્વારા શિવસેના (UBT)ના જ જગન્નાથ અભ્યંકરને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે સંસદીય કાર્યપ્રધાન ચંદ્રકાંત પાટીલની અપીલ બાદ શિવસેના (UBT)ના વરિષ્ઠ નેતા અનિલ પરબે ગૃહમાં જાહેરાત કરી હતી કે વિપક્ષ જગન્નાથ અભ્યંકરની ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છે, જેના પગલે સચિન અહિરની બિનહરીફ વરણીનો માર્ગ મોકળો બન્યો હતો.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)ને મોટો ઝટકો આપતાં સચિન અહિરે મંગળવારે જ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શાસક શિવસેનાના સત્તાવાર ઉમેદવાર તરીકે ડેપ્યુટી ચૅરમૅનપદ માટે નામાંકનપત્ર ભર્યું હતું.
મુખ્ય પ્રધાને પ્રશંસા કરીને અહિર શબ્દનો અર્થ સમજાવ્યો
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સચિન અહિરની પ્રશંસા કરી હતી અને સાથે જ ‘અહિર’ નામનો અર્થ પણ સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘સચિન અહિરને સર્વાનુમતે ઉપસભાપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ગૃહની ગરિમાનું સન્માન કરવા અને તેમનો પ્રસ્તાવ પાછો ખેંચવા બદલ હું વિપક્ષનો પણ આભાર માનું છું. સચિન અહિર અને હું ૧૯૯૯માં સાથે ચૂંટાયા હતા. ‘અહિર’ શબ્દનો અર્થ ગોવાળ અને નીડર વ્યક્તિ થાય છે. મારા પોતાના અનુભવ પરથી કહું તો તે એવી વ્યક્તિ છે જે નિર્ભયતાથી કામ કરે છે.’
