એસઆઇટી કરશે સંસદસભ્ય મોહન ડેલકરના મોતની તપાસ
મોહન ડેલકર
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જાહેરાત કરી હતી કે ગયા મહિને મુંબઈમાં દાદરા અને નગર હવેલીના સંસદસભ્ય મોહન ડેલકરની કથિત આત્મહત્યાની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા કરવામાં આવશે.
મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટકો ભરેલી એસયુવીના માલિક મનસુખ હિરણના મોત સંબંધિત કેસમાં પોલીસ-અધિકારી સચિન વઝેની ધરપકડની વિરોધ પક્ષ બીજેપીની માગણીને પગલે અનિલ દેશમુખે આ નિવેદન કર્યું હતું.
ADVERTISEMENT
મોહન ડેલકર અને મનસુખ હિરણનાં પરસ્પર કડી ન ધરાવતાં પણ રહસ્યમય મોતનો મુદ્દો દિવસ દરમિયાન ગૃહમાં છવાયેલો રહ્યો હતો, જેને પગલે ઘણી વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
દાદરા અને નગર હવેલીના સાત ટર્મથી લોકસભાના સંસદસભ્ય મોહન ડેલકર બાવીસ ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટેલમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
તેમની સુસાઇડ-નોટમાં કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા પ્રફુલ ખેડા પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેઓ અગાઉ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કૅબિનેટમાં પ્રધાન હતા એમ અનિલ દેશમુખે વિધાનસભામાં જણાવ્યું હતું.