પહેલાં સિદ્ધિવિનાયક ગયા, ઊલટીનું બહાનું કરીને સી-લિન્ક પરથી પસાર થઈ રહેલી ટૅક્સી ઊભી રખાવીને દરિયામાં કૂદી પડ્યા, ધંધામાં ખોટને કારણે તનાવમાં પગલું ભર્યું હોવાની શંકા
ગઈ કાલે દરિયામાં ભાવેશ મજીઠિયાના મૃતદેહ પાસે પહોંચેલી મુંબઈ ફાયર-બ્રિગેડ
થાણે-વેસ્ટમાં રહેતા અને ઘાટકોપર-વેસ્ટના સાગર પ્લાઝામાં કપડાંની દુકાન ધરાવતા ૫૧ વર્ષના ભાવેશ મજીઠિયાએ ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક પરથી દરિયામાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું.
વરલી પોલીસના કહેવા મુજબ ભાવેશભાઈ પહેલાં ટ્રેનમાં દાદર આવ્યા હતા. ત્યાંથી તે સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા. એ પછી કાળી-પીળી ટૅક્સી કરી હતી. ટૅક્સી બાંદરા-વરલી સી-લિન્ક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઊલટી થતી હોવાનું કહીને તેમણે ડ્રાઇવરને ટૅક્સી રોકવા કહ્યું હતું. ડ્રાઇવરે ટૅક્સી રોકતાં જ તે દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા અને સીધું દરિયામાં ઝંપલાવી દીધું હતું. આ ઘટના ગઈ કાલે સવારના ૧૧.૩૦ વાગ્યે બની હતી. તરત જ ટૅક્સી-ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ દરિયામાં શોધ ચલાવી હતી. ત્યાર બાદ બપોરે ૨.૩૦ વાગ્યે ભાવેશ મજીઠિયાનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો.
ADVERTISEMENT
વરલી પોલીસના કહેવા મુજબ તેમણે પરિવારને એ વિશે જાણ કરતાં ભાવેશ મજીઠિયાનો દીકરો પોલીસ-સ્ટેશને આવ્યો હતો. તેણે કહ્યું હતું કે છેલ્લા થોડા વખતથી ધંધામાં લૉસ જઈ રહ્યો હતો અને એથી પપ્પા ટેન્શનમાં રહેતા હતા. જોકે આત્મહત્યાનું સાચું કારણ જાણવા વરલી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર કરીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
