વરસાદને કારણે જળાશયોમાં ડહોળાયેલું પાણી આવી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈનાં પૂર્વનાં ઉપનગરો અને શહેરમાં રહેતા લોકોએ નળમાં ડહોળાયેલું પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. આના પગલે સુધરાઈએ પાણી સારી રીતે ગાળીને અને ઉકાળીને પીવાની સલાહ આપી છે.
મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં સાત જળાશયમાંથી ભાત્સા જળાશયના ઉપરવાસમાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ થયો હોવાથી પાણીના વહેણ સાથે માટી અને કાંપ પણ જળાશયમાં ઠલવાઈ રહ્યાં છે. આથી ૨૧ ઑક્ટોબરથી ભાત્સા જળાશયમાંથી આવતું પાણી ડહોળાયેલું જોવા મળી રહ્યું છે. આ પાણીને શુદ્ધીકરણની પ્રક્રિયા કર્યા બાદ શહેરમાં મોકલવામાં આવે છે. આમ છતાં એ ડહોળાયલું દેખાતું હોવાથી સુધરાઈએ પાણી ગાળીને અને ઉકાળીને પીવાની સલાહ આપી છે. પાણી શુદ્ધીકરણ કેન્દ્રમાં પણ વધારે પ્રમાણમાં ક્લોરિન નાખવામાં આવી રહ્યો છે.
ડહોળાયલું પાણી પીવાથી ઠંડી, તાવ અથવા શરદી જેવા સીઝનલ રોગ થઈ શકે છે એટલે આવા રોગચાળાને રોકવા માટે સુધરાઈએ આ સલાહ આપી છે.