ઐતિહાસિક ‘એકથી ૫૦૦’ પુસ્તકો પ્રદર્શન દ્વારા શ્રદ્ધા, શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિનો સશક્ત સંદેશ આપશે.
ઊર્જા ૫૦૦ મહોત્સવ
મુલુંડમાં ઊર્જા ૫૦૦ મહોત્સવનો ઐતિહાસિક, ભવ્ય અને આધ્યાત્મિક આરંભ પદ્મભૂષણ વિભૂષિત પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા રચાયેલાં ૫૦૦ આધ્યાત્મિક પુસ્તકોની દિવ્ય શોભાયાત્રા સાથે થયો. એના દ્વારા જૈન આધ્યાત્મિક સાહિત્યમાં એક અદ્વિતીય અને ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો. અહિંસા, સંયમ, તપસ્યા, સાધના અને આત્મજાગૃતિનાં મૂલ્યોને પ્રતિબિંબિત કરતી આ શોભાયાત્રાને ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબની પાવન નિશ્રા પ્રાપ્ત થઈ. એમાં ૧૨૦૦થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ તેમ જ મુંબઈના ૫૦૦થી વધુ જૈન સંઘોનાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયાં. શોભાયાત્રા બાદ રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ જમ્બો ફૅસિલિટી સેન્ટર, મુલુંડ-પશ્ચિમ ખાતે મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યું. તેમણે આજના સ્પર્ધાત્મક યુગમાં ૫૦૦ આધ્યાત્મિક પુસ્તકોની રચનાને રાષ્ટ્રસેવા સમાન ગણાવી અને જૈન દર્શનનાં અહિંસા, સંયમ અને સંતુલન જેવાં મૂલ્યોની સમયોચિતતા રેખાંકિત કરી. મહોત્સવના પ્રથમ દિવસની ભાવનાત્મક સમાપ્તિ ‘સાત શ્વાસનો ઇતિહાસ–શત્રુંજય તીર્થની અનકહી ગાથા’ નામની હૃદયસ્પર્શી ધાર્મિક નાટ્યપ્રસ્તુતિ સાથે થઈ. આગામી પાંચ દિવસ સુધી ચાલનારો ઊર્જા ૫૦૦ મહોત્સવ આધ્યાત્મિક પ્રવચનો ઉપરાંત બાળકો માટે રમત સાથે જ્ઞાન આપતો વિશેષ કિડ્સ ઝોન, ઇમર્સિવ ઝોન, શ્રી આદેશ્વર ભગવાનની પચાસ ફુટ ઊંચી ભવ્ય પ્રતિમા, એક લાખ ચોરસ ફુટ વિસ્તારમાં વ્યાપેલો વિશાળ પ્રવચન-મંડપ, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પ્રાચીન કલાનું મનોહર પ્રદર્શન, પવિત્ર શત્રુંજય તીર્થ–જય તળેટીની પ્રતિકૃતિ તેમ જ ઐતિહાસિક ‘એકથી ૫૦૦’ પુસ્તકો પ્રદર્શન દ્વારા શ્રદ્ધા, શિસ્ત અને આધ્યાત્મિક જાગૃતિનો સશક્ત સંદેશ આપશે.


