ઇટલીમાં હનીમૂન કરીને પાછું ફરતું ગુજરાતી યુગલ અને અમેરિકાથી રિટર્ન થઈ રહેલાં સિનિયર સિટિઝન ૨૮ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં અટવાઈ ગયાં હતાં, ગઈ કાલે તેઓ મુંબઈ આવ્યાં હતાં
ગઈ કાલે મુંબઈ અૅરપોર્ટ પર આશા હવેલી (ડાબેથી બીજાં) તેમના પરિવારજનો સાથે.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે ગલ્ફ દેશોમાં અટવાઈ ગયેલા મુંબઈના અનેક લોકો ગઈ કાલે મુંબઈ પાછા ફર્યા હતા. ૪૮ કલાક કરતાં વધુ સમય માટે ખોરવાયેલી ઍરલાઇન્સની કામગીરી ફરી શરૂ થયા પછી પહેલી ફ્લાઇટમાં મુંબઈ પહોંચેલા પ્રવાસીઓએ તેમના અનુભવ ‘મિડ-ડે’ સાથે શૅર કર્યા હતા.

ADVERTISEMENT
ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર (ડાબેથી) કલ્પિત દોશી, તેની પત્ની યશ્મિ શાહ તથા યશ્મિના પેરન્ટ્સ પારુલ અને ભરત શાહ. તસવીર: સતેજ શિંદે
બોરીવલીમાં રહેતાં ૬૩ વર્ષનાં આશા હવેલી એતિહાદ અૅરવેઝની EY 204 ફ્લાઇટમાં અમેરિકાથી મુંબઈ આવી રહ્યાં હતાં. તેઓ કહે છે, ‘અમે ૨૮ ફેબ્રુઆરીએ ફ્લાઇટમાં ચડવા માટે લાઇનમાં ઊભાં હતાં ત્યારે પરિસ્થિતિ અચાનક બદલાઈ હતી. બધું અચાનક બંધ થઈ ગયું. અમને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે, પણ પછીથી ખબર પડી કે અબુ ધાબીમાં એક અમેરિકન બેઝ પર મિસાઇલથી હુમલો થયો છે એટલે સાવચેતીના પગલારૂપે ઍરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.’
આશા હવેલીએ ઍરવેઝનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘એતિહાદ ઍરવેઝ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પ્રવાસીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. બે દિવસ સુધી અમે હોટેલમાં રોકાયાં હતાં. શરૂઆતમાં ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ લાગતી હતી, પણ સ્ટાફે પ્રસાવીઓની જે રીતે મદદ કરી એને કારણે અમારો ડર જતો રહ્યો.’
ગોરેગામ રહેતાં કલ્પિત દોશી અને યશ્મિ શાહના હનીમૂનની યાદો થોડી અનિશ્ચિતતાભરી બની હતી. યશ્મિના પપ્પા ભરત શાહે કહ્યું હતું કે ‘આઠ દિવસ પહેલાં લગ્ન થયા પછી આ દંપતી ૧૬ ફેબ્રુઆરીએ ઇટલી ગયું હતું. તેઓ ૨૮ ફેબ્રુઆરીએ હનીમૂનથી પાછાં ફરવાનાં હતાં. તેમનું લેઓવર અબુ ધાબીમાં હતું.’
એતિહાદ ઍરવેઝ અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માનતાં યશ્મિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફ્લાઇટમાં ચડવાનાં હતાં ત્યારે જ અમને અચાનક કહેવામાં આવ્યું કે ફ્લાઇટ ટેક-ઑફ નહીં થાય. મિસાઇલ-અટૅકની વાત જાણીને અમે ડરી ગયાં હહતાં. સદ્નસીબે સ્થાનિક પ્રશાસન અને ઍરલાઇને અમને ગ્રૅન્ડ મિલેનિયમ અલ વાહદા નામની હોટેલમાં સ્ટે આપ્યો હતો. આગામી બે દિવસ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી એ જ એક મોટી રાહત હતી. બીજી માર્ચે સવારે અમને ઍરલાઇન તરફથી મેસેજ મળ્યો કે એક વ્હીકલ અમને લેવા આવશે અને ફ્લાઇટ સુધી પહોંચાડશે ત્યારે અમને રાહત થઈ હતી.’
દંપતીએ જણાવ્યું હતું કે દરેક પ્રવાસીને ૧૦૦૦ દિરહામનું વાઉચર પણ આપવામાં આવ્યું હતું.
- રણજિત જાધવ અને સતેજ શિંદે
