Operation Tiger: શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પક્ષમાં ચાલી રહેલી ફૂટની અટકળોને રદિયો આપી દેતાં જણાવ્યું છે કે સાચી શિવસેના આજે પણ ઠાકરે પરિવાર સાથે જ છે.
સંજય રાઉત
હાલમાં મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. `ઓપરેશન ટાઈગર` (Operation Tiger) અંગે ચાલી રહેલી રાજકીય ચર્ચાઓએ બરાબરનો વેગ પકડ્યો છે. આ વચ્ચે શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પક્ષમાં ચાલી રહેલી ફૂટની અટકળોને રદિયો આપી દેતાં જણાવ્યું છે કે સાચી શિવસેના આજે પણ ઠાકરે પરિવાર સાથે જ છે.
નવી દિલ્હીમાં લોકસભા સાંસદ અરવિંદ સાવંત સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંજય રાઉતે સંબોધી હતી. તેઓને શિવસેના (UBT)ના કેટલાક સાંસદો એકનાથ શિંદેવાળી શિવસેનામાં જોડાઈ ગયા છે તે અંગે પૂછવામાં આવ્યું હતું. શિવસેનાના MLC ચંદ્રકાંત રઘુવંશીના દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના છ સાંસદોએ એકનાથ શિંદેવાળી પાર્ટીમાં જોઇન થવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓ તેમના જૂથમાં જોડાયા છે. આ દાવો કરાયાના કલાકો બાદ હવે સંજય રાઉતે આ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
ઠાકરેની જૂથ જ `અસલી શિવસેના` છે: સંજય રાઉત
પક્ષપલટાના અહેવાલો (Operation Tiger) અંગેના દાવાઓનો જવાબ આપતાં સંજય રાઉતે કહ્યું કે શિવસેનાની ઓળખ ઠાકરે પરિવાર અને તેમની વૈચારિક વિરાસત સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે "ક્યારથી શિંદેની શિવસેના અસલી શિવસેના બની ગઈ? અસલી શિવસેના અહીં છે. જ્યાં ઠાકરે છે, ત્યાં જ શિવસેના છે"
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૨માં શિવસેનાના બે જૂથ થઈ ગયા હતા. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું જૂથ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળનું જૂથ, એમ આ બંને શિવસેના વચ્ચે રાજકીય અને વૈચારિક લડાઈ ચાલી રહી છે. બંને જૂથો શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના વારસા પર પોતાનો દાવો કરતા આવ્યા છે. પક્ષમાં ફૂટ પડાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના અહેવાલો પર રાઉતનું વલણ આક્રમક જણાવી રહ્યું છે. તેઓએ કોઈનું નામ લીધાં વગર શિવસેના (UBT)ને નબળી પાડવાનો પ્રયાસ (Operation Tiger) કરનારાઓની અવગણના કરી હતી અને લોકતાંત્રિક સિદ્ધાંતોને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો.
સંજય રાઉતની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ઉદ્ધવ ઠાકરેના જૂથના કેટલાક સાંસદો એકનાથ શિંદેની શિવસેના નેતાઓના સંપર્કમાં હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જો કે હજુ સુધી કોઈ સાંસદે સત્તાવાર રીતે પક્ષ બદલવાની જાહેરાત કરી નથી.
શિંદે-સેનાએ દાવો કર્યો કે છ સાંસદોનું સમર્થન મળ્યું છે
શિવસેનાના MLC ચંદ્રકાંત રઘુવંશીના દાવા પછી જોરદાર રાજકીય ઘમાસાણ (Operation Tiger) શરૂ થયું છે. જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેના (UBT)ના છ સાંસદોએ એકનાથ શિંદેને સમર્થન જાહેર કર્યું છે. રઘુવંશીએ આ ઘટનાક્રમને `ઓપરેશન ટાઈગર`ની સફળતા ગણાવીને સાંસદોનું પક્ષમાં સ્વાગત કર્યું હતું.
જો કે, શિવસેના (UBT)ના નેતાઓએ આ દાવાઓનું સખત ખંડન કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે કોઈ સત્તાવાર ભંગાણ થયું નથી અને મીડિયા અહેવાલોમાં જે સાંસદોના નામ ચાલી રહ્યા છે, તેમાંથી કેટલાકે ઉદ્ધવ ઠાકરે પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી દીધી છે.
