ડિજિટલ યુગમાં વધતું ગંભીર માનસિક સંકટ : મજબૂત પારિવારિક માળખું હોવા છતાં ૩૭ ટકા ભારતીયો ઉદાસીનો ભોગ : એકલતાથી ડિપ્રેશનનો ખતરો ૫૦ ટકા જેટલો વધતો હોવાનો નિષ્ણાતોનો દાવો
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીથી જોડાયેલી આજની હાઇપર-કનેક્ટેડ દુનિયામાં એકલતા મોટા જાહેર આરોગ્ય સંકટ તરીકે ઊભરી રહી છે. હાલમાં જ કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં ૩૬ દેશોમાંથી ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી એકલવાયો દેશ જાહેર થયો છે. આ યાદીમાં ટર્કી પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત બીજા અને બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. સર્વે અનુસાર ૩૭ ટકા ભારતીયો વારંવાર ભારે ઉદાસીનો અનુભવ કરે છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં મજબૂત પારિવારિક અને સામાજિક માળખું હોવા છતાં આ એકલતા વ્યાપક સ્તરે જોવા મળી છે જે દર્શાવે છે કે આ સમસ્યા શારીરિક કરતાં ભાવનાત્મક વધુ છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એકલતાનો અર્થ માત્ર એકલા રહેવું એવો નથી. તમે માણસોથી ભરેલી રૂમમાં બેઠા હોવા છતાં જો અદૃશ્ય કે અલિપ્ત અનુભવો તો એ વાસ્તવિક એકલતા છે. નિષ્ણાતોના મતે બદલાતી શહેરી જીવનશૈલી અને માત્ર ડિજિટલ સંવાદો આ માટે જવાબદાર છે. લાંબા સમયની એકલતા ક્લિનિકલ ડિપ્રેશનનો ખતરો ૫૦.૨ ટકા સુધી વધારી દે છે, જે સામાન્ય લોકોમાં માત્ર ૯.૭ ટકા હોય છે. આ એકલતા માત્ર માનસિક જ નહીં, શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. એનાથી સ્ટ્રેસ હૉર્મોન્સ હાઈ રહે છે જે હૃદયરોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને વહેલા ઑલ્ઝાઇમર્સ જેવી ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.
