Cargo Ship Sinks: ડૂબી ગયેલા જહાજની અંદર ૨૪ ક્રૂ મેમ્બર્સ હોવાની માહિતી મળી રહી છે. ભારતીય નૌકાદળની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રૅસ્ક્યુ ઑપરેશન કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
બંગાળની ખાડીમાં એક મોટું માલવાહક જહાજ ડૂબી ગયું (Cargo Ship Sinks) હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે ઓડિશાના પારાદીપ કિનારેથી લગભગ ૨૪૦ નોટિકલ માઈલ એટલે કે ૪૪૪ કિલોમીટરના અંતરે શનિવારે `એમવી ઓશન વિનર` (IMO 9145530) નામનું પનામા-ધ્વજ ધરાવતું એક વિશાળકાય માલવાહક જહાજ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. આ ડૂબી ગયેલા જહાજની અંદર ૨૪ ક્રૂ મેમ્બર્સ હોવાની માહિતી મળી રહી છે. આ હાદસા અંગે જાણ થતાં જ ભારતીય કૉસ્ટ ગાર્ડ (ICG) અને ભારતીય નૌકાદળની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રૅસ્ક્યુ ઑપરેશન કરી રહી છે.
૨ બચી ગયા, ૨૨નો હજી કોઈ પત્તો નથી
ADVERTISEMENT
ડૂબી ગયેલા આ માલવાહક જહાજમાં ઓડિશાના પારાદીપ બંદરથી લોખંડની કાચી ધાતુનો જથ્થો ભરવામાં આવ્યો હતો. આ જથ્થાને સિંગાપુર લઇ જવામાં આવી રહ્યો હતો. ૨૦મી ઑગસ્ટે આ જહાજ પારાદીપ ખાતે પહોંચ્યું હતું, અહીંથી આગળની મુસાફરી માટે તે શુક્રવારે રવાના થયું હતું. આ જહાજ પર સવાર ૨૪ ક્રૂ મેમ્બર્સમાંથી ૨૦ ચીનના, ૩ મ્યાનમારના અને ૧ બાંગ્લાદેશના નાગરિક હોવાના રિપોર્ટ્સ મળી રહ્યા છે. શ્રી વિજયાપુરમસ્થિત કૉસ્ટ ગાર્ડના મેરીટાઇમ રૅસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC)ને શનિવારે સવારે ૧૧.૪૮ વાગ્યે જહાજ સાથનો સંપર્ક તૂટી ગયો હતો. આટલું જ નહીં તેઓને તાત્કાલિક મદદ માટેની રિક્વેસ્ટ પણ કરવામાં આવી હતી. જહાજ સાથેનો સંપર્ક તૂટતાં (Cargo Ship Sinks) જ MRCCને તાકીદે અલર્ટ મળી ગઈ હતી. તેઓએ નજીકમાં રહેલા વેપારી જહાજ `MT Aisopos`ને જહાજનો જ્યાંથી સંપર્ક તૂટયો તે પૉઇન્ટ પર મોકલ્યું હતું. આ જહાજે રાત્રે ૮ વાગ્યાની આસપાસ લાઇક્રાફ્ટ પરથી ૨ ક્રૂ મેમ્બર્સને સેફલી બહાર કાઢ્યાં હતા. પરંતુ હજી પણ ૨૨ જેટલા ક્રૂ મેમ્બર્સ લાપતા છે. આ તમામ ૨૨ ક્રૂ મેમ્બર્સ માટે સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.
ભારતીય કૉસ્ટ ગાર્ડના જહાજ `વરદ` (Varad) અને `અનમોલ` (Anmol)ને પણ આ સ્થળ (Cargo Ship Sinks) પર તૈનાત કરવામાં આવ્યાં છે. જ્યારે `વિજિત` (Vijit)ને શ્રી વિજયાપુરમથી મદદ માટે મોકલવામાં આવ્યું છે. આ સિવાય આસપાસના અન્ય જહાજોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
જોકે, આ વિશાળ માલવાહક જહાજ આખરે કયા કારણોસર ડૂબી ગયું તે અંગેનું સાચું કારણ (Cargo Ship Sinks) સામે આવ્યું નથી. ખરાબ હવામાન કે પછી જહાજમાં કોઈ ટેકનિકલ ફૉલ્ટ આવ્યો હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તટ રક્ષક દળ અને નેવી દ્વારા ગુમ થયેલા બાકીના ક્રૂ સભ્યોને શોધવાના પ્રયાસો ઝડપથી ચલાવવામાં આવી રહ્યા છે. ભારતીય તટરક્ષક દળના પારાદીપ યુનિટના નાયબ મહાનિરીક્ષક સંજય નેગીએ જણાવ્યું હતું કે આંદામાન અને નિકોબાર યુનિટ દ્વારા સર્ચ ઑપરેશન અને રૅસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે.
