વિદ્યાર્થીઓ ખોટા હોય તો પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે, આ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે, એમાં દખલ કરનાર તમે કોણ છો?
ફાઇલ તસવીર
હૈદરાબાદની નૅશનલ ઍકૅડેમી ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ (NALSAR) યુનિવસિર્ટી ઑફ લૉની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તને મુખ્ય અતિથિ બનાવવાનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનાં એનરોલમેન્ટ રોકી દેવાની જાહેરાત બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)એ ગુરુવારે કરી હતી, પણ પછી એ તત્કાળ પાછી પણ ખેંચી લીધી હતી. જોકે ગઈ કાલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આની આકરી ટીકા કરી હતી. રાજ્યોની બાર કાઉન્સિલોને 2026 NALSAR બૅચની નોંધણી કરવાથી દૂર રહેવાનો નિર્દેશ આપતા BCIના આદેશને સંપૂર્ણપણે અયોગ્ય ગણાવતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે BCIના સર્ક્યુલર પર નારાજગી દાખવીને કહ્યું હતું કે ‘ભલે વિદ્યાર્થીઓ ખોટા હોય કે તેમને કોઈએ ખોટી સલાહ આપી હોય, એમ છતાં તેમને તેમની વાત રજૂ કરવાનો અને વિરોધ કરવાનો અધિકાર છે. આ મામલો મારી અને વિદ્યાર્થીઓની વચ્ચેનો હતો. એને મુદ્દો બનાવવાની જરૂર નહોતી. બાર કાઉન્સિલ આમાં દખલ કરનાર કોણ છે? જો વિદ્યાર્થીઓ કાનૂનના દાયરામાં રહીને પોતાની વાત રાખે છે તો તેમને અવાજ ઉઠાવવાનો હક છે. હું પણ વિદ્યાર્થીકાળમાં વિરોધ-પ્રદર્શનોમાં સક્રિયરૂપે સામેલ થતો હતો.’
સુપ્રીમ કોર્ટે આ સાથે ન્યાયાધીશ જૉયમલ્યા બાગચી અને વી. મોહનાની બનેલી બેન્ચે BCIને નોટિસ આપીને અરજી પર જવાબ માગ્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે NALSARના વિદ્યાર્થીઓ અથવા ફૅકલ્ટી સામે વૈધાનિક સંસ્થા અથવા કોઈ પણ રાજ્ય બાર કાઉન્સિલના કહેવા પર કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે.
ADVERTISEMENT
BCI વતી હાજર રહેલા વકીલે બેન્ચને જણાવ્યું હતું કે પરિપત્ર પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ મામલો બે અઠવાડિયાં પછી સુનાવણી માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
CJP અને અરવિંદ કેજરીવાલે BCIના ચીફના રાજીનામાની કરી માગણી
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આ મુદ્દે BCIના ચીફ મનનકુમાર મિશ્રાના રાજીનામાની માગણી કરતી સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘BJPના રાજ્યસભાના સંસદસભ્ય અને BCIના ચૅરમૅન મનનકુમાર મિશ્રાએ તાનાશાહી ફરમાન કર્યું છે. CJP અને દેશભરના જાગૃત નાગરિકોના વિરોધ પછી એ ફરમાન પાછું લેવું પડ્યું. દેશની જનતા વારંવાર એ બતાવી રહી છે કે તેઓ સત્તાનો અહંકાર સ્વીકારશે નહીં અને લોકતાંત્રિક સંસ્થાઓને રાજનીતિક હથિયાર બનવા નહીં દે. મનનકુમાર મિશ્રાએ રાજીનામું આપવું જોઈએ.’
CJPના સૌરવ દાસે પણ માગણી કરી હતી કે મનન મિશ્રાએ નૈતિક આધાર પર રાજીનામું આપવું જોઈએ.
