૪૮ કલાકમાં આરોપીઓ સામે અૅક્શન લેવાની માગણી, નહીંતર જયપુરમાં જંતર મંતર જેવું આંદોલન કરવાની અને રાજસ્થાનના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર મદન દિલાવરનું રાજીનામું માગવામાં આવશે એવી ચીમકી
CJPની ટીમ જ્યાં ગઈ એ સ્કૂલની હાલત.
રાજસ્થાનના જયપુરમાં રામપુરા કંવરપુરા ગામમાં આવેલી એક સરકારી સ્કૂલના નિરીક્ષણ માટે ગયેલી કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. CJPના સહસ્થાપક આશુતોષ રાંકાના નેતૃત્વમાં ગયેલી આ ટીમનો દાવો છે કે સ્કૂલ ભેંસના તબેલામાંથી ચાલી રહી હોવાથી ગ્રામજનોએ જ તેમને બોલાવ્યા હતા; જોકે ત્યાં પહેલેથી જ હાજર ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો, મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને વાહનોમાં તોડફોડ કરી હતી.
આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે તેમને અર્બન નક્સલ અને પાકિસ્તાની કહીને માર મારવામાં આવ્યો હતો. આ મુદ્દે ૪૮ કલાકમાં દોષિતોની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી છે એમ જણાવતાં આશુતોષ રાંકાએ કહ્યું હતું કે નહીંતર રાજસ્થાનના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર મદન દિલાવરનું રાજીનામું માગવામાં આવશે. CJPના સ્થાપક અભિજિત દીપકેએ પણ ૪૮ કલાકમાં અૅક્શન લેવાની માગણી કરીને કહ્યું હતું કે જો એમ નહીં થાય તો જયપુરમાં જંતર મંતર જેવું આંદોલન કરવામાં આવશે. આ ઘટનાક્રમને પગલે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે.
BJPના નેતાઓએ આ તમામ આરોપોને ફગાવતાં CJPને અરાજક તત્ત્વ ગણાવીને આ ઘટના પાછળ કૉન્ગ્રેસનો જ હાથ હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ‘CJPના લોકો પર કોઈએ હુમલો કર્યો નથી, તેમણે જાતે જ પોતાનાં વાહનોમાં તોડફોડ કરીને માહોલ તંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે તો તેમને સમજાવીને પાછા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. અમે ગામમાં કૉન્ગ્રેસ કે BJP સિવાય બીજી કોઈ પાર્ટીને પ્રવેશવા નહીં દઈએ.’
