મધ્યાહ્ન ભોજનનાં ખરાબ અનાજ-કઠોળની ફરિયાદ કરનારી આંગણવાડી કાર્યકરનું સસ્પેન્શન છેવટે પાછું ખેંચવું પડ્યું પ્રશાસને
રેશ્મા પારધી
પુણે જિલ્લાના આંબેગાવની આંગણવાડી કાર્યકર રેશ્મા પારધી દ્વારા પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આંગણવાડીનાં બાળકો માટે ચલાવાતી મધ્યાહ્ન ભોજન યોજનામાં સપ્લાય કરવામાં આવતાં સફેદ વટાણા અને અન્ય કઠોળ કુકરમાં રાંધીએ છતાં પણ પ્રૉપર ચડતાં નથી, કાચાં રહે છે એથી એ બરાબર ન રાંધેલાં અનાજથી બાળકોના પેટમાં દુખાવો થાય છે અને બાળકો આ ભોજન ખાવાનો ઇનકાર કરે છે. તેણે પોસ્ટ કરેલા આ વિડિયોને કારણે વિવાદ સર્જાયો છે જેના કારણે સત્તાધારી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય દિલીપ
વળસે-પાટીલે સ્વીકાર્યું છે કે રાજ્યભરમાં મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા બાબતે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
આંબેગાવની આંગણવાડીની કાર્યકરે પોલ ખોલતાં પહેલાં તો તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક રહેવાસીઓએ અને નેતાઓએ આ મામલે ટેકો આપ્યા બાદ તેને ફરી ફરજ પર હાજર થવા દેવામાં આવી હતી.
ADVERTISEMENT
હું સરકારને વિનંતી કરું છું કે અમારાં બાળકો સાથે રમત ન રમવી, એમ કહીને રેશ્મા પારધીએ તેની અપીલમાં ફૂડ અૅન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેને દરમ્યાનગીરી કરવા અને ખાદ્ય પુરવઠાનું નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી. રેશ્મા પારધીએ કહ્યું હતું કે આંગણવાડીને પૂરાં પાડવામાં આવતાં અન્ય બરછટ પીસેલાં અનાજને રાંધવા પણ એટલાં જ મુશ્કેલ છે. આવી પરિસ્થિતિઓમાં ૪ મહિનાના પુરવઠાનો સ્ટૉક કરવા અને અેને મેનેજ કરવાની શક્યતા પર તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
યોગ્ય પગલાં લેવાની વિધાનસભ્યએ ખાતરી આપી
વિડિયો પર પ્રતિક્રિયા આપતાં દિલીપ વળસે-પાટીલે સમજાવ્યું કે ‘આવાં અનાજની ખરીદી કમિશનર અથવા રાજ્ય સ્તરે થાય છે અને ખાતરી આપી હતી કે તેઓ આ મામલો સીધો સંબંધિત વિભાગના સચિવ અને પ્રધાન સમક્ષ ઉઠાવશે. જો આંગણવાડી કાર્યકરે તેના ઉપરી અધિકારીઓ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હોય અને કોઈ જવાબ ન મળે તો અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. સંબંધિત કૉન્ટ્રૅક્ટર અને ગુણવત્તા તપાસવા માટે જવાબદાર અધિકારીઓને પહેલાં જવાબદાર ઠેરવવા જોઈએ અને તેમની સામે પગલાં લેવાં જોઈએ.`
