આ વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત દંપતી તરીકે ગણવામાં આવશે
વસ્તીગણતરી
કોરોના રોગચાળાને કારણે ભારતમાં વસ્તીગણતરી અટકી ગઈ હતી, પણ એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થવાની છે જે ૨૦૨૭ના ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત દંપતી તરીકે ગણવામાં આવશે. વસ્તીગણતરી કરનારા અધિકારીઓ આવાં કપલ્સને આપત્તિજનક સવાલ પૂછશે નહીં. તેઓ જે જાણકારી આપશે એને પણ ગુપ્ત રાખવામાં આવશે, એ કોઈની સાથે શૅર કરવામાં આવશે નહીં.
આ સંદર્ભમાં વસ્તીગણતરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે વસ્તીગણતરી, ૧૯૪૮ની કલમ ૧૧ હેઠળ અધિકારીઓ આપત્તિજનક સવાલ નહીં પૂછે અને જો એવું કરશે તો તેમને ૧૦૦૦ રૂપિયાનો દંડ અને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સંદર્ભમાં આપવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી જાણીજોઈને અનુચિત પ્રશ્ન પૂછશે અથવા ખોટી જાણકારી આપશે તો તેને દંડ થશે.
