રેડી રેક્નર રેટમાં ચારથી પાંચ ટકાનો વધારો ઝીંકાય એવી શક્યતા: મેટલમાં ભાવવધારો, શૅરબજારમાં ઘટાડો અને હવે રેડી રેક્નર રેટમાં થનારો વધારો ઘર ખરીદનારાઓની સંખ્યા ઘટાડશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર વધુ એક બોજ પડવાનો છે. રાજ્ય સરકારે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ માટે રેડી રેક્નર રેટમાં સરેરાશ ચારથી પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યા મુજબ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ સ્ટૅમ્પ ઍન્ડ રજિસ્ટ્રેશનની ઑફિસ આ પ્રસ્તાવને આખરી ઓપ આપી રહી છે. આ સંદર્ભની સત્તાવાર જાહેરાત આજે થાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR), નાશિક અને એવાં શહેરો જ્યાં શક્તિપીઠ કૉરિડોર અને સમૃદ્ધિ એક્સપ્રેસવેના વિસ્તરણ જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં રેડી રેક્નર રેટમાં પહેલી એપ્રિલથી મોટો ઉછાળો આવવાની શક્યતા છે.
બજારના નિષ્ણાતોના મતે રેડી રેક્નરના દરમાં વધારો થવાથી મકાનો સામાન્ય ગ્રાહકોની પહોંચ બહાર થઈ જશે. હાલમાં ધાતુઓના ભાવ વધી રહ્યા છે અને શૅરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આવી પ્રતિકૂળ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઘર ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં રાજ્યમાં રેડી રેક્નર રેટમાં સરેરાશ ૩.૮૯ ટકાનો વધારો થયો હતો. રાજ્ય સરકારે આ નાણાકીય વર્ષમાં સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન દ્વારા ૬૮,૬૦૦ કરોડ રૂપિયાની આવકનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે જેને પહોંચી વળવા માટે આ ભાવવધારો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
