હેલ્પલાઇન નંબર 112નો રિસ્પૉન્સ-ટાઇમ અગાઉ પંચાવન મિનિટ હતો, હવે ૮૧ ટકા ઝડપી રિસ્પૉન્સ અપાઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ઇમર્જન્સીમાં પોલીસની મદદ મેળવવી હવે વધુ ઝડપી અને સરળ બની છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા નૅશનલ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર 112 પર મળતા કૉલ્સ સામે અપાતા રિસ્પૉન્સના ટાઇમમાં ૮૧ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. ૨૦૨૧માં જ્યારે આ સેવા શરૂ કરવામાં આવી હતી ત્યારે પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં સરેરાશ પંચાવન મિનિટ લાગતી હતી જે હવે ઘટીને માત્ર ૮ મિનિટ થઈ છે.
સ્ટેટ પોલીસ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી મુજબ આ સમય તબક્કાવાર ઘટાડવામાં આવ્યો છે. શરૂઆતમાં પંચાવન મિનિટનો સમય ઘટીને બાવીસ મિનિટ અને ત્યાર બાદ ૧૧ મિનિટ થયો હતો અને હવે આ સમય ૮ મિનિટ સુધી લાવવામાં સફળતા મળી છે. આ સિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્યભરમાં ૧૫૦૨ ફોર-વ્હીલર અને ૨૨૬૯ ટૂ-વ્હીલર તહેનાત કરવામાં આવ્યાં છે. આ તમામ વ્હીકલ્સ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ટ્રૅકિંગ અને લેટેસ્ટ સૉફ્ટવેરથી સજ્જ છે.
ADVERTISEMENT
દિલ્હીના ૨૦૧૨ના વર્ષના નિર્ભયા કેસ બાદ દેશભરમાં અમલી બનેલી આ સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન (પોલીસ, ફાયર, ઍમ્બ્યુલન્સ અને વુમન-ચાઇલ્ડ હેલ્પલાઇન) પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે.
નવી મુંબઈ અને નાગપુરનાં બે મુખ્ય કેન્દ્રો પર ૨૬૨ કૉલ-ટેકર્સ ૨૪ કલાક કાર્યરત રહે છે.
અત્યારે જૂનો ઇમર્જન્સી નંબર 100 પણ કાર્યરત છે. જ્યારે હેલ્પલાઇન નંબર 112નો ઉપયોગ વધશે ત્યારે જૂની વ્યવસ્થાને તબક્કાવાર બંધ કરવામાં આવશે.
આંકડાકીય માહિતી
વર્ષ ફરિયાદના કૉલ્સ
૨૦૨૧ ૧.૬૦ લાખ
૨૦૨૨ ૮.૬૦ લાખ
૨૦૨૩ ૧૧ લાખ
૨૦૨૪ ૧૬ લાખ
૨૦૨૫ ૧૯ લાખ
૨૦૨૬(૧૨ માર્ચ સુધી) ૪ લાખ
