જયપુરમાં શુક્રવારે રાતે જાણે રેસ લગાવી હોય એવી સ્પીડે દોડતી આઉડી કારે રોડ પર તબાહી મચાવી દીધી હતી
આઉડી કાર
જયપુરમાં શુક્રવારે રાતે જાણે રેસ લગાવી હોય એવી સ્પીડે દોડતી આઉડી કારે રોડ પર તબાહી મચાવી દીધી હતી. માનસરોવરના ભીડભાડવાળા વિસ્તારમાં આઉડી કાર ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોડના કિનારે લાગેલા ફૂડ-સ્ટૉલ્સમાં ઘૂસી ગઈ હતી. એ દરમ્યાન સ્ટૉલ પર લગભગ પચાસેક લોકો હાજર હતા. ઝડપભેર આવેલી કારે ૧૬ લોકોને અડફેટે લીધા હતા અને છેલ્લે એક વૃક્ષ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હતું અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આઉડીમાં ડ્રાઇવર સહિત ૪ લોકો સવાર હતા. ચારેય કારસવારો નશામાં હતા. ઘટના પછી તરત ભીડે એક કારસવારને પકડી લીધો હતો, જ્યારે એક યુવકને શનિવારે પોલીસે પકડ્યો હતો. આરોપી ડ્રાઇવર અને બીજો કારસવાર ફરાર છે.


