જમીન ખરીદીના આશરે 16 મહિના પછી 31 ઑગસ્ટ, 2023 ના રોજ મધ્ય પ્રદેશ સરકારે રૂ. 3,200 કરોડના પશ્ચિમ બાયપાસ પ્રૉજેક્ટને મંજૂરી આપી. બાયપાસ પ્રશ્નમાં રહેલી જમીનથી આશરે 500 મીટર દૂર સ્થિત છે. ખરીદી સમયે, જમીનને ખેતી માટે વર્ગીકૃત કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્યપ્રદેશના ભોપાલમાં કોલાર વિસ્તારમાં આવેલા ગુરાડી ઘાટ ગામમાં IAS અને IPS અધિકારીઓ દ્વારા ખરીદવામાં આવેલી આવેલી જમીનનો હવે વિવાદમાં સપડાઈ છે. અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા સ્થાવર મિલકત રિટર્ન (IPR) દસ્તાવેજોમાં આ રોકાણોની વિગતો બહાર આવ્યા પછી સમગ્ર મામલા અંગે પ્રશ્નો ઉભા થયા છે. અહેવાલો અનુસાર, 4 એપ્રિલ, 2022 ના રોજ, લગભગ 50 સરકારી અધિકારીઓએ 2.023 હૅક્ટર ખેતીની જમીન ખરીદી હતી. આ સંપાદન એક જ રજિસ્ટ્રી ડીડ દ્વારા કરવામાં આવ્યું હતું. દસ્તાવેજો અનુસાર, આ 50 શૅરમાં કુલ 41 અલગ-અલગ ખરીદદારો સામેલ હતા. ખરીદદારોની યાદીમાં ઘણા IAS અને IPS અધિકારીઓ જે મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને હરિયાણામાં પોસ્ટ હતા તેમનો સમાવેશ થાય છે. રજિસ્ટ્રી દસ્તાવેજોમાં જમીનની કિંમત રૂ. 5.5 કરોડ નોંધાઈ હતી, જ્યારે હવે તે રૂ. 7.78 કરોડ થઈ હોવાનું જાણવા મળ્યું. IPR ફાઇલિંગમાં, ઘણા અધિકારીઓએ આ રોકાણને ‘સમાન વિચારધારા ધરાવતા અધિકારીઓ’ દ્વારા લેવામાં આવેલા પગલાં તરીકે વર્ણવ્યું છે.
બાયપાસ પ્રૉજેક્ટની જાહેરાત બાદ જમીનના ભાવમાં વધારો
ADVERTISEMENT
જમીન ખરીદીના આશરે 16 મહિના પછી 31 ઑગસ્ટ, 2023 ના રોજ મધ્ય પ્રદેશ સરકારે રૂ. 3,200 કરોડના પશ્ચિમ બાયપાસ પ્રૉજેક્ટને મંજૂરી આપી. બાયપાસ પ્રશ્નમાં રહેલી જમીનથી આશરે 500 મીટર દૂર સ્થિત છે. ખરીદી સમયે, જમીનને ખેતી માટે વર્ગીકૃત કરવામાં આવી હતી. જોકે, જૂન 2024 માં, તેનું જમીન-ઉપયોગ વર્ગીકરણ સત્તાવાર રીતે કૃષિમાંથી રહેણાંકમાં બદલાઈ ગયું. જમીન ઉપયોગમાં આ ફેરફારથી તેના ભાવમાં મોટો વધારો થયો. 2022 માં, આશરે 5 એકર વિસ્તાર આશરે રૂ. 81.75 પ્રતિ ચોરસ ફૂટના દરે ખરીદવામાં આવ્યો હતો. જૂન 2024 માં જમીન-ઉપયોગ પુનઃવર્ગીકરણ પછી, તેનું મૂલ્ય પ્રતિ ચોરસ ફૂટ આશરે રૂ. ૫૫૭ સુધી વધી ગયું. પરિણામે, જમીનની અંદાજિત કિંમત આશરે રૂ. 12.13 કરોડ સુધી પહોંચી ગઈ છે. હાલમાં, આ વિસ્તારમાં જમીનનો પ્રવર્તમાન બજાર દર પ્રતિ ચોરસ ફૂટ રૂ. 2,500 થી રૂ. 3,000 ની વચ્ચે હોવાના અહેવાલ છે. આ મૂલ્યાંકનના આધારે, પ્રશ્નમાં રહેલી જમીનની કુલ અંદાજિત કિંમત રૂ. 55 કરોડ થી રૂ. 65 કરોડની રેન્જમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રશ્નો શા માટે ઉભા થયા?
આ બાબત અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે જમીનના સંપાદન પછી, સરકારી પ્રૉજેક્ટ્સ અને જમીન-ઉપયોગના નિયમોમાં ફેરફારને કારણે જમીનની કિંમટ વધી ગઈ. આ ઘટનાઓના ક્રમે એવી અટકળોને વેગ આપ્યો છે કે ખરીદદારોને પ્રસ્તાવિત વિકાસ યોજનાઓની અગાઉથી માહિતી હતી કે નહીં. જોકે, અત્યાર સુધી કોઈપણ પ્રકારની ગેરકાયદેસરતા સત્તાવાર રીતે સ્થાપિત થઈ નથી. આ કેસ પણ ધ્યાન ખેંચી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં સેવા આપતા અમલદારોએ જમીનના એક જ ભાગમાં સામૂહિક રીતે રોકાણ કર્યું હતું. અહેવાલો અનુસાર, આજ સુધી આ જમીન પર કોઈ રહેણાંક સોસાયટી કે હાઉસિંગ પ્રૉજેક્ટ વિકસાવવામાં આવ્યો નથી. વધુમાં, આવા કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરવા માટે જરૂરી પ્લૉટ ફાળવણી અથવા સોસાયટીને જમીન માલિકીનું ટ્રાન્સફર જેવી પ્રક્રિયાગત ઔપચારિકતાઓ હજી સુધી પૂર્ણ થઈ નથી.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
આ બાબતના ખુલાસા પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઘણા લોકોએ અમલદારોની જવાબદારી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યું છે કે જ્યારે રાજકીય પ્રતિનિધિઓને નિયમિત ચૂંટણી જવાબદારીનો સામનો કરવો પડે છે, ત્યારે અમલદારોના કિસ્સામાં જવાબદારીનો અવકાશ મર્યાદિત હોય તેવું લાગે છે. હાલ સુધી, મધ્યપ્રદેશ સરકાર કે અહેવાલોમાં નામ આપવામાં આવેલા અધિકારીઓએ આ બાબતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. વધુમાં, આ સમયે આ મુદ્દા પર કોઈ સત્તાવાર તપાસની જાહેરાત કરવામાં આવી નથી.
