બોટની સ્પીડ અચાનક વધી ગઈ અને પૉન્ટૂન પુલ સાથે ટકરાઈને ઊંધી વળી ગઈ, કોઈએ લાઇફ-જૅકેટ પહેર્યાં નહોતાં
મથુરામાં ગઈ કાલે બપોરે યમુના નદીમાં નાવ ઊથલી પડતાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. મોડી સાંજ સુધી મિસિંગ લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઑપરેશન મોડી સાંજ સુધી ચાલ્યું હતું
મથુરામાં ગઈ કાલે બપોરે લગભગ ૨.૪૫ વાગ્યે શ્રીબાંકે બિહારી મંદિરથી અઢી કિલોમીટર દૂર આવેલા કેશી ઘાટ પાસે યમુના નદીમાં પર્યટકોથી ભરેલી એક મોટરબોટ પોન્ટૂન પુલ સાથે ટકરાતાં પલટી ખાઈ ગઈ હતી. મોટરબોટમાં લગભગ ૩૦થી વધુ પર્યટકો હતા જેમાંથી ૧૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૨ લોકોને બચાવી લેવાયા હતા. મોડે સુધી કેટલાક લોકો ગુમ હતા.
મોટરબોટમાં સવાર મોટા ભાગના લોકો પંજાબના લુધિયાણાના રહેવાસીઓ હતા. પાણીમાં ડૂબેલા લોકોને બચાવવાનું કામ કરનારા તરવૈયાઓનું કહેવું હતું કે આ અકસ્માત થવાનું કારણ ખૂબ જોરથી ફૂંકાયેલો પવન હતો. પવન એટલોબધો હતો કે નાવ અચાનક જ ડગમગવા લાગી હતી અને એની સ્પીડ વધી ગઈ હતી અને ખૂબ જોરથી પુલ સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી. બોટ આખી ઊંધી વળી ગઈ હતી. તરત જ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે બચાવકાર્ય શરૂ કર્યું હતું. ૧૨ લોકોને નદીમાંથી કાઢી લેવાયા હતા, જ્યારે ૧૦ જણનાં શબ કાઢવામાં આવ્યાં હતાં જેમાં ૭ મહિલાઓ અને ૩ પુરુષ છે. હજીયે કેટલાક લોકો મિસિંગ છે.
