મેં સ્વયં-જનગણના કરી લીધી, હવે તમારો વારો દેશવાસીઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વગણના કરી
સંખ્યાની દૃષ્ટિએ ઐતિહાસિક એવા વિશ્વના સૌથી મોટા વસ્તીગણતરી અભિયાનનો ગઈ કાલે ભારતમાં શંખનાદ થઈ ગયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વગણના કરીને આ અભિયાનની શરૂઆત કરી હતી. વસ્તીગણતરીના આ પહેલા તબક્કામાં મકાનોની યાદી અને આવાસ સંબંધિત ડેટા ડિજિટલ માધ્યમથી એકઠો કરવામાં આવી રહ્યો છે. નાગરિકો હવે ૧૫ દિવસની સમય-સીમામાં પોર્ટલ પર જાતે પોતાનું વિવરણ નોંધી શકે છે. આ પ્રક્રિયા ડેટામાં ચોકસાઈ લાવવા અને ભવિષ્યની વિકાસયોજનાઓને મજબૂત કરવા માટેનો આધાર બનશે.
આ અભિયાન સંખ્યાની દૃષ્ટિએ તો મહત્ત્વપૂર્ણ છે જ, પરંતુ એ ભારતની પહેલી પૂરી રીતે ડિજિટલ વસ્તીગણતરી હોવાને કારણે પણ ખૂબ મહત્ત્વની છે. ગઈ કાલે સ્વગણના પ્રક્રિયા પૂરી કર્યા પછી નરેન્દ્ર મોદીએ તસવીર સાથે એક પોસ્ટ કરીને લખ્યું હતું, ‘મેં સ્વયં-જનગણના પૂરી કરી લીધી છે. આજથી વસ્તીગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ રહી છે. એમાં ઘર-ઘરની યાદી બનાવવાનું અને રહેઠાણ સંબંધિત કાર્ય સામેલ છે. આ વસ્તીગણતરી પહેલી વાર ડિજિટલ માધ્યમથી ડેટા સંગ્રહ કરવા જઈ રહી છે. એનાથી ભારતના લોકો પોતાના પરિવારનું વિવરણ જાતે ભરી શકે છે. હું દેશવાસીઓને પોતાના પરિવારની વિગતો સ્વયં ભરવાની અને જનગણના પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરું છું. ’
સ્વગણના માટે શું કરવાનું?
ADVERTISEMENT
૦ se.census.gov.in પોર્ટલ પર જાઓ.
૦ રાજ્ય પસંદ કરીને મોબાઇલ-નંબર દ્વારા રજિસ્ટ્રેશન કરો અને વન-ટાઇમ પાસવર્ડ નાખીને વેરિફિકેશન કરો.
૦ ૧૬ ભાષાઓમાંથી તમારી પસંદગીની ભાષા પસંદ કરો (નોંધ ઃ આ પસંદ પાછળથી બદલી નહીં શકાય).
૦ વિગતો ભરો. ઘર અને એમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેના ૩૩ સવાલોની જાણકારી ભરો.
૦ પોર્ટલ પર મૅપની મદદથી તમારા ઘરનું સટિક લોકેશન (Geo-tagging) માર્ક કરો.
૦ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. એમ કરવાથી એક યુનિક SE ID મળશે.
૦ આ SE IDનો સ્ક્રીન-શૉટ લઈ લો અથવા તો નોંધી લો. જ્યારે વસ્તીગણતરી કરનારા અધિકારીઓ તમારા ઘરે આવે ત્યારે આ ID આપી દેવાની રહેશે.
૦૦૦૦૦
