ઊઠબેસ કર્યા બાદ આ સ્ટુડન્ટ બીમાર થયો હતો અને ૯ દિવસ બાદ તેનું ઉપચાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ કેસમાં કોર્ટે શિક્ષકને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે
પ્રતીકાત્મક તસવીર
ઓડિશામાં ૨૦૧૯ના ઑક્ટોબર મહિનામાં રમેશ ચંદ્ર શેઠી નામના એક શિક્ષકે એક સ્ટુડન્ટને ૩૦૦ ઊઠબેસ કરવાની શિક્ષા કરી હતી. આ ઊઠબેસ કર્યા બાદ આ સ્ટુડન્ટ બીમાર થયો હતો અને ૯ દિવસ બાદ તેનું ઉપચાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ કેસમાં કોર્ટે શિક્ષકને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પણ તેની સામે ક્રિમિનલ કાર્યવાહી પડતી મૂકી છે. સ્ટુડન્ટના મૃત્યુના કારણમાં તેને મેનેન્જાઇટિસ હોવાનું જણાવવામાં આવ્યું હતું એટલે કોર્ટે શિક્ષક સામે ક્રિમિનલ કાર્યવાહી કરી નહોતી.
આ કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે અનુશાસન બનાવી રાખવા માટે સ્ટુડન્ટને કરવામાં આવેલી સજા જુવેનાઇલ જસ્ટિસ કૅર ઍન્ડ પ્રોટેક્શન ઍક્ટ, ૨૦૧૫ હેઠળ અપરાધ માની શકાતી નથી. જસ્ટિસ શિબો શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે આ વળતરની રકમ દોષ સ્વીકાર કરવાની નથી, પણ પીડિત પરિવારને રાહત આપવાનો પ્રયાસ છે. એક સ્ટુડન્ટે જીવ ખોયો છે અને એના નુકસાનની ભરપાઈ કોઈ કરી શકે નહીં.

