શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે એટલે ચોરી કરતી વખતે ચોરોનો અંતરાત્મા ખટક્યો હશે,
મૂર્તિ
ઓડિશાના બાલાસોર જિલ્લાના એક શનિ મંદિરમાં ચોરી થઈ. ચોરીથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ એ તો હતું જ, પરંતુ ચોરોની એક હરકતે સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે. કોલીગાડી ગામમાં ચોરોએ બે મંદિરોમાંથી એકસાથે લાખો રૂપિયાનાં ઘરેણાં ચોરી લીધાં. પહેલાં તેમણે હનુમાન મંદિરનું તાળું તોડ્યું અને ત્યાંથી ચાંદીના મુગટ, કંગન, લૉકેટ, ચેઇન અને ચાંદીનાં વાસણો ચોરી લીધાં. એ પછી તેઓ બાજુમાં જ આવેલા શનિ મંદિરમાં પણ ઘૂસ્યા. જોકે અહીં તેમણે શનિદેવની મૂર્તિની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી. ત્યાંથી પણ સોના-ચાંદીના મુગટ, સોનાનો ગળાહાર, કડાં ચોરી લીધાં. બન્ને મંદિરોમાંથી કુલ ૪ લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ. બીજા દિવસે સવારે પૂજારીએ મંદિરનું તાળું તૂટેલું જોયું અને શનિદેવની મૂર્તિની આંખે કાળી પટ્ટી બાંધેલી જોઈને તસવીરો ખેંચી લીધી હતી. શનિદેવ ન્યાયના દેવતા કહેવાય છે એટલે ચોરી કરતી વખતે ચોરોનો અંતરાત્મા ખટક્યો હશે, પણ તેમણે જાતે સુધરવાને બદલે શનિદેવને આંખે પાટા બાંધવાની હરકત કરી હતી.
