૧૬ રાજકીય પાર્ટીઓએ વડા પ્રધાન મોદીને લખ્યો સંયુક્ત પત્ર
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વિપક્ષી INDI (ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ) અલાયન્સમાં સામેલ ૧૬ રાજકીય પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી સાથે સંયુક્ત પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘અમે પહલગામ હુમલા બાદ અને ઑપરેશન સિંદૂર દરમિયાન સરકારને સંપૂર્ણ સહયોગ આપ્યો. હવે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવીને આ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરે. સમગ્ર દુનિયાને બ્રીફ કરવામાં આવી, પરંતુ દેશની સંસદને અંધારામાં રાખવામાં આવી.’
આ પત્ર પર રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ (સમાજવાદી પાર્ટી), અભિષેક બૅનરજી (તૃણમૂલ કૉન્ગ્રેસ), ટી. આર. બાલુ (દ્રવિડ મુનેત્ર કઝગમ), સંજય રાઉત (ઉદ્ધવ જૂથ શિવસેના), મનોજ ઝા (રાષ્ટ્રીય જનતા દળ), ડી. હુડ્ડા (કૉન્ગ્રેસ), ડેરેક ઓ’બ્રાયન (તૃણમૂલ કૉન્ગ્રેસ), રામગોપાલ યાદવ (સમાજવાદી પાર્ટી) અને અરવિંદ સાવંત (ઉદ્ધવ જૂથ શિવસેના) સહિતના નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા અગાઉ પણ અનેક વખત સંસદનું સત્ર બોલાવવાની માગ કરાઈ ચૂકી છે.
ADVERTISEMENT
કયા-કયા મુદ્દાઓ પર ચર્ચાની માગણી?
- પહલગામ આતંકી હુમલો અને ઑપરેશન સિંદૂર
- પૂંછ, ઉરી અને રાજૌરીમાં જાનહાનિ
- અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ‘સીઝફાયર’ અને ટ્રેડ ડીલના દબાણના દાવા
- ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણના સિંગાપોરમાં આપેલાં નિવેદનો
- ચીન-પાકિસ્તાનના વધતા સંબંધો વચ્ચે ભારતની વિદેશનીતિની સ્થિતિ

