૨૦૧૫ અને ૨૦૨૦માં એક્ઝિટ પોલની ભવિષ્યવાણીઓ સાવ ખોટી પડી હતી: ૨૦૧૫માં એક્ઝિટ પોલમાં NDAની જીતની આગાહી હતી; પણ મહાગઠબંધને બાજી મારી હતી, ૨૦૨૦માં મહાગઠબંધનના વિજયની આગાહી સામે NDAની જીત થઈ હતી
એક્ઝિટ પોલે આપેલા વિજયના અણસારના પગલે ગઈ કાલે પટનામાં BJPના કાર્યકરો લાડુ બનાવવામાં વ્યસ્ત હતા.
૨૦૨૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીનું આવતી કાલે રિઝલ્ટ આવવાનું છે અને આ વખતે એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણિત નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જોકે ૨૦૧૫ અને ૨૦૨૦માં એક્ઝિટ પોલમાં જેમની જીતની આગાહી કરવામાં આવી હતી તે પાર્ટીઓને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ વખતે બેઉ તબક્કામાં રેકૉર્ડ મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં ૬૫.૦૮ ટકા અને બીજા તબક્કામાં ૬૭.૧૪ ટકા મતદાન નોંધાયું હોવાથી હવે બધાની નજર આવતી કાલે જાહેર થનારાં રિઝલ્ટ્સ પર છે. લોકોનું માનવું છે કે કદાચ આ વખતે પરિવર્તન પણ થઈ શકે છે.
રાજકીય નિષ્ણાતો માને છે કે સ્થળાંતરિત મતદારો, જાતિ સમીકરણો, શાંત મતદારો અને મહિલા મતદારોની ભૂમિકા જેવાં પરિબળો મતદાન કરનારાઓ માટે પડકારો રહ્યાં છે. આ વખતે પણ અંદાજ NDAની તરફેણમાં હોય એવું લાગે છે. કુલ ૨૪૩ બેઠકોમાંથી ખરાખરીનો જંગ NDA અને મહાગઠબંધન વચ્ચે છે. જન સુરાજ જેવાં નવાં દળો પણ મેદાનમાં છે.
ADVERTISEMENT
૨૦૧૫માં ખોટાં પડ્યાં તારણો
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં BJPએ ૨૮૨ બેઠકો મેળવીને કેન્દ્રમાં સત્તા મેળવી હતી અને એ પછી ૨૦૧૫માં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલે NDAની જીત થશે એવી આગાહી કરી હતી. મોટા ભાગના એક્ઝિટ પોલે કૉન્ગ્રેસ, રાષ્ટ્રીય જનતા દલ (RJD) અને જનતા દલ (યુનાઇટેડ) (JDU)ના બનેલા મહાગઠબંધનને સંપૂર્ણપણે અવગણ્યું હતું. છ મુખ્ય એક્ઝિટ પોલે મહાગઠબંધનને સરેરાશ ફક્ત ૧૨૨-૧૨૩ બેઠકો આપી હતી, પણ રિઝલ્ટ્સ આવ્યાં ત્યારે મહાગઠબંધને ૧૭૮ બેઠકો જીતી હતી, જ્યારે NDAને ફક્ત ૫૮ બેઠકો મળી હતી. આ પરિણામોએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.
૨૦૨૦માં NDAને સત્તા મળી
૨૦૨૦માં પરિસ્થિતિ ઊલટી થઈ હતી. ૧૧ મુખ્ય એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનને વધારે બેઠકો મળશે એવી આગાહી કરવામાં આવી. પોલમાં મહાગઠબંધનને ૧૨૫ બેઠકો (બહુમતીથી થોડી વધારે) મળશે અને નીતીશ કુમારના વડપણ હેઠળના NDAને ૧૦૮ બેઠકો મળશે એવી આગાહી કરવામાં આવી. તેજસ્વી યાદવના સમર્થકોએ તો ભાવિ મુખ્ય પ્રધાનને અભિનંદન આપતાં પોસ્ટરો પણ લગાવી દીધાં હતાં. એક પ્રતિષ્ઠિત એજન્સીએ તો ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરીને NDAને ૧૧૬ અને મહાગઠબંધન ૧૨૦ બેઠકો મળશે એમ જણાવ્યું હતું, પણ રિઝલ્ટ ઊલટું આવ્યું. NDAને ૧૨૫ બેઠકો મળી અને તેમણે સરકાર બનાવી, જ્યારે મહાગઠબંધને ૧૧૦ બેઠકો મળી. LJP જેવા પક્ષોએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી, જેનાથી સમીકરણ બદલાઈ ગયાં.


