BJP મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનોને હટાવશે, કારણ કે તેમને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને હટાવવા છે
અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૩ રાજ્યોના મુખ્ય પ્રધાનોને બદલવાની યોજના બનાવી છે. તેઓ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનોને હટાવી રહ્યા છે કારણ કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને હટાવવા માગે છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવના પરિવાર દ્વારા મોટા પાયે જમીનસંપાદનના આરોપો વિશે અખિલેશ યાદવે કહ્યું હતું કે ‘BJPએ મોહન યાદવને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે. જો આ આરોપો મોહન યાદવ સામે છે તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાને પણ ૩૦૦થી ૬૦૦ એકર જમીન સંપાદિત કરી છે. આ કંઈ નવું નથી. તેઓ પહેલાં રિયલ એસ્ટેટમાં કામ કરતા હતા. શું BJPને આ ખબર નથી? આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે BJP ૩ મુખ્ય પ્રધાનોને બદલવાનો રસ્તો શોધી રહી છે. તેઓ મુખ્ય પ્રધાનોને બદલવા માગે છે તેથી આરોપો લગાવી રહ્યા છે. તેઓ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાનોને દૂર કરવા માગે છે. તેઓ આ બેને દૂર કરી રહ્યા છે કારણ કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને દૂર કરવા માગે છે. આ તેમને દૂર કરવાનું કાવતરું છે. ઉત્તર પ્રદેશના લોકો જાણે છે કે આ વખતે ચક્ર એટલી ઝડપથી ફરશે કે મુખ્ય પ્રધાનો આપમેળે દૂર થઈ જશે.’
