બિહારના જમુઈમાં એક ઍમ્બ્યુલન્સચાલકની લાપરવાહીએ દરદીનો જીવ લીધો હતો
ઍમ્બ્યુલન્સ કંપનીનું કહેવું છે કે ડ્રાઇવર પેટ્રોલ ભરાવવા માગતો હતો પણ પેટ્રોલ-પમ્પ પર પૂરતું પેટ્રોલ હતું નહીં.
બિહારના જમુઈમાં એક ઍમ્બ્યુલન્સચાલકની લાપરવાહીએ દરદીનો જીવ લીધો હતો. ઍમ્બ્યુલન્સમાં જમુઈની સિવિલ હૉસ્પિટલમાંથી અતિ ગંભીર દરદીને પટનાની મોટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ધીરજ રવિદાસ નામના ભાઈ બે દિવસ પહેલાં અચાનક માંદા પડ્યા હતા. દીકરા અજિતે તેમને લઈને ઝાઝા ગામમાં પ્રાથમિક ઉપચાર કરાવ્યો, પણ ત્યાં ફરક ન પડ્યો. વધુ ટેસ્ટ કરતાં ખબર પડી કે મગજમાં ક્લૉટ થઈ જવાને કારણે હાલત ગંભીર છે. દરદીને તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં લઈ જવાની તાકીદ કરવામાં આવી. બપોરે એક વાગ્યે જમુઈથી ઍમ્બ્યુલન્સ પટના જવા નીકળી. એ દરમ્યાન ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે ૧૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું. જોકે પોણાબે વાગ્યે એક સૂમસામ વિસ્તાર પાસે ઍમ્બ્યુલન્સનું પેટ્રોલ ખતમ થઈ ગયું. પેટ્રોલ ખતમ થઈ જતાં ઍરકન્ડિશન પણ બંધ થઈ ગયું. ડ્રાઇવરે કોઈકની પાસે પેટ્રોલ મગાવ્યું હતું, પણ ત્યાં સુધી ભીષણ ગરમીમાં રોડની વચ્ચે તાપમાં બે કલાક સુધી દરદી તડપ્યો અને આખરે દમ તોડી દીધો. મૃત્યુ પામનાર દરદીના પરિવારજનો ઍમ્બ્યુલન્સની બેદરકારી માટે ગુસ્સામાં છે, જ્યારે ઍમ્બ્યુલન્સ કંપનીનું કહેવું છે કે ડ્રાઇવર પેટ્રોલ ભરાવવા માગતો હતો પણ પેટ્રોલ-પમ્પ પર પૂરતું પેટ્રોલ હતું નહીં.
