બોટાદથી દ્વારકાનું અંતર ૩૭૦ કિલોમીટર છે. પદયાત્રા કરીને સાતમા દિવસે તે જામનગર પહોંચ્યો હતો. જામનગરથી દ્વારકાનું અંતર ૧૩૦ કિલોમીટર છે. હવે ત્રણેક દિવસમાં સંજય અને તેની પત્ની દ્વારકાધીશના મંદિરે પહોંચી જશે.
દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં બોટાદથી આંખે પાટા બાંધીને પદયાત્રા કરી રહ્યો છે આ યુવાન
હોળી-ધુળેટીના પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ યોજાશે. આ ઉત્સવમાં લાખો કૃષ્ણભક્તો ઊમટી પડતા હોય છે. બોટાદમાં રહેતો સંજય પડેલિયા પોતે માનેલી માનતા પૂરી કરવા માટે આ ઉત્સવમાં ભાગ લેવા પગપાળા જઈ રહ્યો છે. બોટાદથી ચાલીને તે દ્વારકા જવા નીકળ્યો છે. જોકે એમાં પણ એક કૅચ છે. તેણે પદયાત્રામાં પોતાની આંખે પાટા બાંધી દીધા છે. તેની સાથે પત્ની પણ હાથ પકડીને ચાલી રહી છે. ૮ દિવસ પહેલાં સંજયે પોતાના ઘરેથી આંખે પાટા બાંધીને પત્ની સાથે પદયાત્રા શરૂ કરી હતી. પતિનો હાથ પકડીને ચાલીને બન્ને દ્વારકા પહોંચશે. સંજય પડેલિયાનું કહેવું છે કે ‘પહેલાં મારી સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એવામાં મેં માનતા માની હતી કે જો મારી આર્થિક સ્થિતિ સુધરશે તો હું આંખે પાટા બાંધીને પગપાળા તમારાં દર્શન કરવા આવીશ. આજે ભગવાનની કૃપાથી સ્થિતિ સુધરી છે અને જીવન સુખ અને શાંતિવાળું બન્યું છે એટલે માનતા પૂરી કરવા નીકળ્યો છું.’ બોટાદથી દ્વારકાનું અંતર ૩૭૦ કિલોમીટર છે. પદયાત્રા કરીને સાતમા દિવસે તે જામનગર પહોંચ્યો હતો. જામનગરથી દ્વારકાનું અંતર ૧૩૦ કિલોમીટર છે. હવે ત્રણેક દિવસમાં સંજય અને તેની પત્ની દ્વારકાધીશના મંદિરે પહોંચી જશે. જ્યાં શ્રદ્ધા સંકલ્પ બની જાય ત્યારે બધું જ સરળ થઈ જતું હોય છે એ આનું નામ.
