આ કાર્યવાહી ખામીયુક્ત ફૉરેન્સિક ઑડિટ પર આધારિત હતી અને ભારતીય રિઝર્વ બૅન્કની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતી હતી.
અનિલ અંબાણી
બિઝનેસમૅન અનિલ અંબાણીને મોટો ઝટકો આપતાં બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સિંગલ બેન્ચના વચગાળાના આદેશને રદ કર્યો છે. અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ સામે બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રૉડની કાર્યવાહી પર સ્ટે મૂકવામાં આવ્યો હતો એ આદેશને હાઈ કોર્ટે રદ કર્યો છે.
મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની ડિવિઝન બેન્ચે ૨૦૨૫ના ડિસેમ્બરમાં હાઈ કોર્ટની સિંગલ બેન્ચ દ્વારા પસાર કરાયેલા વચગાળાના આદેશ સામે ત્રણ પબ્લિક સેક્ટરની બૅન્ક અને ઑડિટર ફર્મ BDO ઇન્ડિયા LLP દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને મંજૂરી આપી હતી. ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના આદેશને રદ કરતાં એને ગેરકાયદે અને અયોગ્ય ગણાવ્યો હતો.
ADVERTISEMENT
અનિલ અંબાણીના વકીલોએ હાઈ કોર્ટને એના આદેશ પર સ્ટે મૂકવાની માગણી કરી હતી જેથી તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે પરંતુ એ વિનંતીને પણ નકારી કાઢવામાં આવી હતી.
સિંગલ બેન્ચના આદેશે ઇન્ડિયન ઓવરસીઝ, IDBI અને બૅન્ક ઑફ બરોડા એમ ત્રણ બૅન્ક દ્વારા કરવામાં આવેલી તમામ વર્તમાન અને ભવિષ્યની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો, જેમાં નોંધ્યું હતું કે આ કાર્યવાહી ખામીયુક્ત ફૉરેન્સિક ઑડિટ પર આધારિત હતી અને ભારતીય રિઝર્વ બૅન્કની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરતી હતી.
