હરિયાણાના નારનૌલમાં ગાયે વાછરડાને જન્મ આપતાં જિતેન્દ્ર યાદવના પરિવારે દીકરાના જન્મની જેમ કૂવાપૂજન અને છઠ્ઠીનો ઉત્સવ મનાવ્યો. ગામના ૧૦૦૦થી વધુ લોકોને ભોજન પણ કરાવવામાં આવ્યું.
ગાયે વાછરડાને જન્મ આપ્યો તો દીકરાના જન્મ જેવો ઉત્સવ યોજીને ૧૦૦૦ લોકોને જમાડ્યા
હરિયાણાના નારનૌલમાં એક પરિવારમાં ગાયે બચ્ચાને જન્મ આપ્યો એ ઘટનાનું જબરદસ્ત સેલિબ્રેશન થયું. જિતેન્દ્ર યાદવ નામના પશુપાલકને ત્યાં ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો. આ નિમિત્તે જિતેન્દ્રએ બાળકના જન્મ પર કૂવાપૂજન કરીને છઠ્ઠીનો ઉત્સવ મનાવ્યો હતો. એમાં વાછરડાને પરિવારના દીકરાની જેમ રીતરિવાજ સાથે આવકારવામાં આવ્યું હતું. કૂવાપૂજન દરમ્યાન મહિલાઓએ મંગળગીતો ગાયાં અને હવન-યજ્ઞ કરવામાં આવ્યો. ગાય અને વછેરા માટે ચારો, માળા, ચૂંદડી અને શણગારની વ્યવસ્થા કરવામાં આવી અને ગામના લગભગ ૧૦૦૦થી વધુ લોકોને દેશી ઘીમાંથી બનેલી મીઠાઈઓ સાથેનું ભોજન કરાવ્યું હતું.
મહેન્દ્રગઢ જિલ્લાના પશુપાલક જિતેન્દ્ર યાદવે લગભગ બે વર્ષ પહેલાં રાજસ્થાનથી સાહીવાલ અને ગીર પ્રજાતિની મિક્સ ગાય ખરીદી હતી. એ વખતે ગાય માત્ર છ મહિનાની હતી. એ પછી આ ગાયને હરિયાણા લાવીને દીકરીને જેમ પાળી હતી. ગાયનું નામ માનુ છે અને વછેરાનું નામ મન્નુ રાખવામાં આવ્યું છે.
