કોલ્હાપુરના જંગલ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં માત્ર બે બાળકીઓને ભણાવવા શિક્ષક જીવન મિથારી રોજ 28 કિમી બાઇક અને 5 કિમી જંગલમાં પગપાળા સફર કરે છે.
પ્રેરણાદાયી શિક્ષક
શિક્ષણ પ્રત્યેની સમર્પણ-ભાવના અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની ધગશનું એક અત્યંત પ્રેરણાદાયી ઉદાહરણ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી સામે આવ્યું છે. અહીંના ગગનબાવડા તાલુકાના ઘનઘોર જંગલ વિસ્તારમાં આવેલા કવલટેક ધનગરવાડા ગામની જિલ્લા-પંચાયત પ્રાથમિક સ્કૂલમાં જવા માટે કોઈ શિક્ષક તૈયાર નહોતો. જોકે જીવન મિથારી નામના શિક્ષકે બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે સ્વેચ્છાએ આ સ્કૂલની જવાબદારી ઉપાડી લીધી હતી.
જીવનસર રોજ પોતાના ગામથી ૨૮ કિલોમીટર બાઇક ચલાવીને જંગલના પ્રવેશદ્વાર સુધી પહોંચે છે. ત્યાં બાઇકને પાર્ક કરી, માથા પર હેલ્મેટ પહેરીને ઘનઘોર જંગલ વચ્ચેથી પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલી, પહાડી ચડીને સ્કૂલમાં પહોંચે છે. આ પાંચ કિલોમીટરના રસ્તામાં લપસણી જમીન, લોહી ચૂસતી જળો અને દીપડા, રીંછ, જંગલી ભેંસ તથા ઝેરી સાપ જેવાં હિંસક પ્રાણીઓનો સતત ડર રહે છે. જંગલમાં કોઈ પ્રાણી અચાનક સામે ન આવી જાય એ માટે તેઓ આખા રસ્તે મોટેથી ગીતો ગાતાં-ગાતાં કે અવાજો કરતાં-કરતાં ચાલે છે.
મૂળ ૭૦ પરિવારની વસ્તી ધરાવતું આ ગામ સુવિધાઓના અભાવે ખાલી થઈ ગયું છે અને હવે ત્યાં માત્ર ૩ ઘર બચ્યાં છે. અહીં વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. આ આખી સ્કૂલમાં માત્ર બે જ નાની બહેનો અભ્યાસ કરે છે : ૮ વર્ષની સ્વરા અને તેની પાંચ વર્ષની નાની બહેન રેશમા.
છેલ્લાં ૧૩ વર્ષથી સતત જીવના જોખમે માત્ર બે બાળકીઓને અક્ષરજ્ઞાન આપવા પહોંચતા શિક્ષક જીવન મિથારીના આ અજોડ જઝ્બાને આખું મહારાષ્ટ્ર સલામી આપી રહ્યું છે.
