પ્લે-ઑફની મૅચો બૅન્ગલોરમાંથી શિફ્ટ, ફાઇનલ અમદાવાદમાં, ક્વૉલિફાયર-વન ધરમશાલામાં, એલિમિનેટર અને ક્વૉલિફાયર-ટૂ ન્યુ ચંડીગઢમાં
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ
ગયા વર્ષના ખરાબ અનુભવ છતાં ક્રિકેટ બોર્ડે આખરી સમયે બૅન્ગલોરને IPL 2026ની લીગ રાઉન્ડની તેમ જ ફાઇનલ સહિતની પ્લે-ઑફની મૅચ ફાળવી હતી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન હોવાથી પરંપરા પ્રમાણે ફાઇનલ એમના હોમ-ગ્રાઉન્ડમાં ફાળવાઈ હતી, પણ શરૂઆતથી લોકલ ઑથોરિટીઝની અને ખાસ કરીને કર્ણાટકના રાજકારણીઓની ત્રણ-ત્રણ મફતની ટિકિટોની ડિમાન્ડને પહોંચી વળવું અશક્ય થઈ રહ્યું હોવાથી ક્રિકેટ બોર્ડે કંટાળીને પ્લે-ઑફની મૅચો અન્ય સ્થળોએ શિફ્ટ કરવાની નિર્ણય લેવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની કૅપિસિટી માંડ ૩૫ હજારની છે એમાં આવી મફતની ટિકિટોની ફાળવણી બાદ ફાઇનલ સહિતની પ્લે-ઑફની મૅચોની ચાહકો તેમ જ અન્ય કમિટમેન્ટ માટે જૂજ જ ટિકીટો બાકી રહેતી હતી. પ્લે-આૅફનાં નવાં સ્થળનૉર્મલી પ્લે-ઑફ મૅચો બે સ્થળે રમાતી હોય છે પણ આ વખતે સ્પેશ્યલ કેસ તરીકે ત્રણ જગ્યાએ રમાશે. પૉઇન્ટ-ટેબલની ટૉપ-ટૂ ટીમો વચ્ચેની ટક્કરવાળી ક્વૉલિફાયર-વન ૨૬ મેએ ધરમશાલામાં રમાશે. ત્યાર બાદ પૉઇન્ટ-ટેબલની ત્રીજા અને ચોથા ક્રમાંકની ટીમોની ટક્કરવાળો એલિમિનેટર મુકાબલો ૨૭ મેએ ન્યુ ચંડીગઢના ન્યુ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્વૉલિફાયર-વનમાં હારનાર અને એલિમિનેટરમાં જીતનાર ટીમ વચ્ચે ફાઇનલમાં પ્રવેશ માટેનો જંગ એટલે કે ક્વૉલિફાયર-ટૂ પણ ન્યુ ચંડીગઢમાં જ ૨૯ મેએ રમાશે. ૩૧ મેએ ફાઇનલ જંગ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ADVERTISEMENT
IPL 2026 પ્લે-આૅફ શેડ્યુલ
ક્વૉલિફાયર-વન
મંગળવાર, ૨૬ મે, ધરમશાલા
એલિમિનેટર
બુધવાર, ૨૭ મે, ન્યુ ચંડીગઢ
ક્વૉલિફાયર-ટૂ
શુક્રવાર, ૨૯ મે, ન્યુ ચંડીગઢ
ફાઇનલ
રવિવાર, ૩૧ મે, અમદાવાદ
ધરમશાલામાં પહેલી વાર IPLની પ્લે-ઑફની મૅચ રમાશે, જ્યારે અમદાવાદમાં ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૫ બાદ ચોથી વાર ફાઇનલ જંગ જામશે. સોશ્યલ મીડિયામાં ટીકા ક્રિકેટ બોર્ડના આ નિર્ણય બાદ તરત જ સોશ્યલ મીડિયામાં ટીકાઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો અને આ નિર્ણય પાછળ રાજકારણ થઈ રહ્યું હોવાનું એમને લાગી રહ્યું છે. દરેક મેજર ઇવેન્ટ અમદાવાદને જ ફાળવવામાં આવે છે કેમ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકાર હોવાથી તેમને નીચાજોણું કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એવી વાતો થઈ રહી છે.
