અર્શદીપ સિંહને શાનદાર બોલિંગ-પ્રદર્શન માટેનું મોટિવેશન તેના પપ્પા દર્શન સિંહ પાસેથી મળ્યું હતું.
અર્શદીપ સિંહ
ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ૩ વિકેટ લઈને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો નંબર વન બોલર બન્યો હતો. તેણે ભારત માટે આ ટુર્નામેન્ટની ૧૯ મૅચમાં ૩૫ વિકેટ લીધી છે. અગાઉ જસપ્રીત બુમરાહ ૨૩ મૅચમાં ૩૩ વિકેટ સાથે આ લિસ્ટમાં પહેલા ક્રમે હતો. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ પહેલાં ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ૨૪ મૅચમાં ૩૨ વિકેટ સાથે સૌથી આગળ હતો. અર્શદીપ સિંહને શાનદાર બોલિંગ-પ્રદર્શન માટેનું મોટિવેશન તેના પપ્પા દર્શન સિંહ પાસેથી મળ્યું હતું. તેણે ખુલાસો કર્યો કે ‘મારા પપ્પા હોટેલની રૂમમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની આખી મૅચ જોઈ રહ્યા હતા. સેમી-ફાઇનલમાં ભારતની આશા જીવંત રાખવા વેસ્ટ ઇન્ડીઝની હાર જરૂરી હોવાથી કૅરિબિયન પ્લેયર્સ જ્યારે પણ સિક્સર ફટકારે ત્યારે તેઓ બૂમો પાડીને અપશબ્દો કહેતા. મારે તેમને શાંત પાડીને કહેવું પડ્યું કે ક્રિકેટનો આનંદ માણો અને સાઉથ આફ્રિકાની જીત માટે પ્રાર્થના કરતા રહો.’
