આવી વિનંતી કેન્દ્ર સરકારને કરી છે ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીએ
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાને બાકી રહેલી IPL મૅચોના સમયપત્રકમાં સુધારો કરવા ઓપન લેટર લખ્યો છે. CTIએ પાકિસ્તાન સુપર લીગ 2026ની જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ ઈંધણ બચાવવા માટે મર્યાદિત વેન્યુ પર દર્શકો વિના મૅચ રમાડવાની અપીલ કરી છે. ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીએ લેટરમાં લખ્યું હતું કે ‘ટીમ દ્વારા કરવામાં આવતી હવાઈ મુસાફરી અને દર્શકોની અવરજવર સાથે ઈંધણનો વધુ પડતો વપરાશ થઈ રહ્યો છે. દરેક ટીમ ટુર્નામેન્ટ દરમ્યાન ૫૦,૦૦૦થી ૭૦,૦૦૦ લીટર ઉડ્ડયન બળતણનો વપરાશ કરી શકે છે. દર્શકો વિના મૅચ રમાડીને પેટ્રોલ-ડીઝલ બચાવીને દેશ પર બોજ ઓછો કરવાની અપીલ CTI દ્વારા કરવામાં આવી છે. ૨૮ માર્ચથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની અંતિમ લીગ-સ્ટેજ મૅચ ૨૪ મેએ રમાશે. ૨૬થી ૩૧ મે દરમ્યાન ફાઇનલ મૅચ સહિત પ્લે-ઑફની ૪ મૅચો રમાશે. જોકે ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં હોવાથી ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીની આ અપીલ વિશે કોઈ નિર્ણય લેવાય એની શક્યતા ઓછી છે.
