ભારતીય સ્પિનરે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં એક પણ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ નથી લીધી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરના મતે સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સર્વકાલીન શ્રેષ્ઠ બોલર નથી.
ઇયાન ચૅપલ
ભારતીય સ્પિનરે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં એક પણ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ નથી લીધી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરના મતે સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સર્વકાલીન શ્રેષ્ઠ બોલર નથી. તેણે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં અશ્વિનના રેકૉડને ટાંકતાં આ દાવો કર્યો હતો. સાથે જ તેણે કહ્યું હતું કે અશ્વિન ભારતીય પિચ પર પણ બૅટિંગ-ઑર્ડરને ધ્વસ્ત નથી કરી શકતો. પોતાની વાત પુરવાર કરવા માટે તેણે તાજેતરમાં પૂરી થયેલી ઇંગ્લૅન્ડની સિરીઝને પણ ટાંકી હતી. આ સિરીઝમાં અશ્વિને ચાર ટેસ્ટમાં ૩૨ વિકેટ લીધી હતી તો અક્ષર પટેલે ત્રણ મૅચમાં ૨૭ વિકેટ લીધી હતી. જોકે ઑસ્ટ્રેલિયાને દિગ્ગજ ક્રિકેટર ઇયાન ચૅપલ માંજરેકરની વાતથી સંમત નથી. તેણે વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર જોએલ ગાર્નરનું ઉદાહરણ આપતાં અશ્વિનને મહાન બોલરોમાં સ્થાન આપ્યું હતું.
અશ્વિન હાલમાં આઇસીસી ટેસ્ટ બોલરોની રૅન્કિંગ્સમાં બીજા ક્રમાંકે છે. તેણે અત્યાર સુધી ૭૮ ટેસ્ટમાં ૪૦૯ વિકેટ લીધી છે. દરમ્યાન એની વિકેટ લેવાની ઍવરેજ ૨૪.૬૯ની રહી છે. ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં આવવા માટે તેણે હજી ૨૬ વિકેટ લેવાની છે. આ રેકૉર્ડ બનાવતાં જ એ વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં નવમા ક્રમાંકે આવી જશે.
ADVERTISEMENT
સંજય માંજરેકર ઇએસપીએન ક્રિકઇન્ફોના એક શો દરમ્યાન કહ્યું હતું કે ‘જ્યારે કેટલાક એને ઑલ-ટાઇમ ગ્રેટ બોલર ગણે છે ત્યારે એની સામે મને વાંધો છે. અશ્વિને સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં એક પણ વખત પાંચ વિકેટ નથી લીધી. જ્યારે ભારતમાં તેના દમદાર પ્રદર્શનને જોઈએ છીએ તો છેલ્લાં ચાર વર્ષમાં જાડેજાએ પણ તેના જેટલી જ વિકેટ લીધી હતી.’
ઇયાન ચૅપલ માંજરેકરની આ દલીલ સાથે સંમત નથી. તેમણે વેસ્ટ ઇન્ડીઝના જોએલ ગાર્નરનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘એની વિકેટો એટલા માટે પણ ઓછી હતી કે તેની સાથે જ ઘણા સારા બોલર ટીમમાં હતા. જોએલ ગાર્નરે પણ બહુ ઓછી વખત પાંચ વિકેટ લીધી હતી. એનો રેકૉર્ડ પણ જોઈએ તો એટલો શાનદાર નથી દેખાતો. આવું એટલા માટે પણ હતું, કારણ કે એ વખતે ટીમમાં ત્રણ શાનદાર બોલરો હતા. આ વાત હું એટલા માટે પણ કહી રહ્યો છું કે અશ્વિનની છાપ ઇંગ્લૅન્ડના ખેલાડીઓમાં એવી છે કે એની ઓવર પૂરી કરી દેવાની. જ્યાં સુધી અક્ષર પટેલની વાત કરું તો ઇંગ્લૅન્ડના ખેલાડીઓને સમજ નથી પડતી કે આની સામે રમવું કઈ રીતે?’ ચૅપલે એવું પણ કહ્યું હતું કે નૅથન
લાયન કરતાં અશ્વિન ચડિયાતો સ્પિનર છે.’