સંજુ સૅમસનની નિષ્ફળતાઓ પર યુઝવેન્દ્ર ચહલની ચર્ચાસ્પદ કમેન્ટ
યુઝવેન્દ્ર ચહલ
ભારતીય ઓપનર સંજુ સૅમસન ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝની પહેલી ચાર મૅચમાં ૧૦, ૬, ૦ અને ૨૪ રનની ઇનિંગ્સ રમી શક્યો છે. T20 વર્લ્ડ કપ પહેલાં તેની બૅટિંગમાં સતત નિષ્ફળતાઓ ભારત માટે ચિંતાનો વિષય છે. તેના વર્તમાન ફૉર્મ પર ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા અને રાજસ્થાન રૉયલ્સના સંજુના જૂના સાથી-પ્લેયર યુઝવેન્દ્ર ચહલે ચર્ચાસ્પદ કમેન્ટ કરી છે.
યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે ‘સંજુ સૅમસન ઘણાં વર્ષોથી રમી રહ્યો છે. તેણે IPLમાં મિડલ-ઑર્ડરમાં શરૂઆત કર્યા પછી ઓપનર બન્યો હતો. ૧૦-૧૨ વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા પછી પ્રેશરનું બહાનું ન હોવું જોઈએ. તેને આ સિરીઝમાં ૪ તક આપવામાં આવી છે. હું એક કે બે મૅચમાં નિષ્ફળતા સ્વીકારી શકું, પરંતુ ત્રણ કે ચાર નહીં. તે જાણે છે કે વિકેટકીપર-બૅટર ઈશાન કિશન જેવો ખેલાડી જે બૅકઅપ પ્લેયર છે તે તેની જગ્યા લઈ શકે છે. સંજુએ પોતાને દોષ આપવો જોઈએ. તેને ચાર તક મળી, પણ તે એનો ફાયદો ઉઠાવી ન શક્યો.’


