ભારતીય ક્રિકેટરોમાં વધતા ઇન્જરીના કેસ વચ્ચે IPL ફ્રૅન્ચાઇઝીઓનું પ્રેશર અને નાણાકીય હિત ખેલાડીઓને ઇન્જરી છતાં રમવા માટે મજબૂર કરતા હોવાના અહેવાલોથી BCCIની ચિંતા વધી છે.
IPLમાં ક્રિકેટર્સ માલિકના અને પૈસાના પ્રેશર હેઠળ ઇન્જરી છતાં સ્પર્ધા કરવા મજબૂર
ભારતીય ક્રિકેટરોમાં ઇન્જરીના કેસોમાં અચાનક વધારો થવાથી ભારતીય ક્રિકેટ બોર્ડમાં ચિંતા ફેલાઈ ગઈ છે. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્લેયર્સની આ ઇન્જરીઓ પાછળ ઇન્ડિયન પ્રીમિયર લીગની સ્પર્ધા જવાબદાર હોવાના રિપોર્ટ મળી રહ્યા છે.
અહેવાલો અનુસાર ફ્રૅન્ચાઇઝીઓના પ્રેશર અને IPLમાં નાણાકીય હિસ્સાને કારણે ખેલાડીઓ ઘણી વાર ઇન્જરીઓ છતાં રમે છે અને બાદમાં તેઓ સેન્ટર ઑફ એક્સલન્સના ફિઝિયો પાસે ફિટ થવા માટે આવે છે.
ફિઝિયો ખેલાડીઓની સલામતીને ટોચની પ્રાથમિકતા આપે છે. જોકે આ ઘટનાક્રમથી સિલેક્ટર્સ, કોચ અને કૅપ્ટન માટે મુશ્કેલીઓ ઊભી થાય છે. આનાથી ખેલાડીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે તૈયાર કરવાની પ્રક્રિયા જટિલ બને છે.
