સતત ૩ હાર મળી છે લખનઉને, રાજસ્થાનને છેલ્લી બે મૅચમાં કારમી હાર મળી છે
લખનઉમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન સ્ટ્ટેજિક ઍડ્વાઇઝર કેન વિલિયમસન સાથે વાતચીત કરી રહેલો લખનઉનો કૅપ્ટન રિષભ પંત.
IPL 2026ની ૩૨મી મૅચ આજે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ હાલમાં ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહી છે. ૬ મૅચમાંથી પહેલી ચાર મૅચ જીત્યા બાદ છેલ્લી બન્ને મૅચમાં રાજસ્થાનને હૈદરાબાદ અને કલકત્તા સામે હાર મળી છે. લખનઉ ૬ મૅચમાંથી માત્ર હૈદરાબાદ અને કલકત્તા સામે જીત્યું છે. છેલ્લી ત્રણ મૅચથી રિષભ પંત ઍન્ડ કંપની જીતના ટ્રૅક પર પાછી નથી આવી શકી. યશસ્વી જાયસવાલ, વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલ રાજસ્થાનની ટીમની બૅટિંગ લાઇનઅપના મુખ્ય આધારસ્તંભ રહ્યા છે. જ્યારે પણ આ ત્રણેય પ્રદર્શન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ટીમ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. લખનઉના પ્રિન્સ યાદવ, મોહમ્મદ શમી, આવેશ ખાન સહિતના ફાસ્ટ બોલિંગ-યુનિટ સામે આજે રાજસ્થાનના બોલિંગ-યુનિટની અગ્નિપરીક્ષા થશે. લખનઉની ટીમ કૅપ્ટન રિષભ પંત અને વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરનના ફૉર્મને કારણે ચિંતામાં છે. રિષભે ૬ મૅચમાં ૧૪૭ રન અને પૂરને ૬ મૅચમાં માત્ર ૫૧ રન કર્યા છે. હમણાં સુધી ૧૦ વિકેટ લેનાર સ્પિનર રવિ બિશ્નોઈ અને ૮ વિકેટ લેનાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આજે રાજસ્થાન તરફથી લખનઉના સંઘર્ષમય બૅટિંગ-યુનિટ પર પ્રચંડ પ્રહાર કરી શકે છે. રાજસ્થાન આ મેદાન પર ૨૦૨૪માં એકમાત્ર મૅચ લખનઉ સામે રમ્યું હતું અને ૭ વિકેટે જીત્યું હતું. લખનઉ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૨૩માંથી ૯ મૅચ જીત્યું છે, ૧૩ મૅચ હાર્યું છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. વર્તમાન સીઝનની બે અને ૨૦૨૫ની સીઝનની છેલ્લી ચાર મૅચ સહિત ટોટલ ૬ મૅચથી લખનઉ પોતાના હોમગ્રાઉન્ડ પર મૅચ જીતી શક્યું નથી.
મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી
ADVERTISEMENT
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૬ |
|
રાજસ્થાનની જીત |
૪ |
|
લખનઉની જીત |
૨ |

ગઈ કાલે પ્રૅક્ટિસ વખતે રાજસ્થાન રૉયલ્સના ધ્રુવ જુરેલ અને યશસ્વી જાયસવાલ તેમ જ કૅચિંગ પ્રૅક્ટિસ કરી રહેલો વૈભવ સૂર્યવંશી.
