ઈર્ષાળુ ટીકાકારો વિશે નિવેદન આપનારા અજિંક્ય રહાણેને વીરેન્દર સેહવાગનું સૂચન...
અજિંક્ય રહાણે, વીરેન્દર સેહવાગ
કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન અજિંક્ય રહાણેને ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ તરફથી મહત્ત્વપૂર્ણ સલાહ-સૂચન મળ્યાં છે. અજિંક્ય રહાણેએ હાલમાં તેની ટીકા કરનાર ટીકાકારોને ઈર્ષાળુ ગણાવીને પોતાના ફૉર્મ વિશે નિવેદન આપ્યું હતું.
આ નિવેદન વિશે વાત કરતાં વીરેન્દર સેહવાગે કહ્યું હતું કે ‘આવા ઝઘડાઓમાં ભાગ લેવાની શું જરૂર છે? બચ્ચનસાહેબ (અમિતાભ બચ્ચન)એ પણ ક્યારેય તેમના ટીકાકારોને જવાબ આપ્યો નથી. એક અખબારે તો સચિન તેન્ડુલકર માટે એન્ડુલકર (તેન્ડુલકરનો અંત) પણ લખ્યું હતું. શું તેણે એના માટે કોઈ જવાબ આપ્યો? જો તું જવાબ આપશે તો એ ટીકાકારોની જીત હશે, તારી નહીં. ક્રિકેટના આંકડા જ ટીકાકારો માટે જવાબ હોવા જોઈએ.’
