મુંબઈ પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ગયું છે, પણ વાનખેડેમાં રાજસ્થાન સામે છેલ્લી લીગ મૅચ ૨૪ તારીખે છે
હાર્દિક-માહિકા
IPLની આ સીઝનમાં નબળા પફોર઼્મન્સને લીધે મુંબઈ ઇન્ડિયન્સની વહેલી વિદાય માટે કૅપ્ટન હાર્દિક પંડ્યાને મહદઅંશે જવાબદાર ગણાવીને તેની ચારેકોર ટીકાઓ થઈ રહી છે. છેલ્લી ત્રણેક મૅચ ઇન્જરીને લીધે તેમ જ ફિટ ન હોવાને લીધે તે રમ્યો નથી અને બુધવારે કદાચ કલકત્તા સામે મેદાનમાં ઊતરશે એવી ચર્ચા છે. મુંબઈ હવે બાકીની બન્ને મૅચ જીતીને સન્માનજનક વિદાય માટે યોજના બનાવી રહ્યું છે ત્યારે હાર્દિક અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા ૨૪ મેએ વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી રાજસ્થાન સામેની છેલ્લી લીગ મૅચના બે જ દિવસ પહેલાં એટલે કે બાવીસ મેએ ઉદયપુરમાં લગ્ન કરી રહ્યાં છે એવી સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ છે. જોકે આ અંગે કોઈ ઑફિશ્યલ કર્ન્ફમેશન નથી મળ્યું તેમ જ હાર્દિક કે માહિકા બેમાંથી કોઈના તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે હાર્દિક-માહિકાના સંભવિત લગ્નને લગતી પોસ્ટ જે અકાઉન્ટ પરથી વાઇરલ કરવામાં આવી છે એ બનાવટી અકાઉન્ટ હોવાનું કહેવાય છે કેમ કે એના પરથી ભૂતકાળમાં પણ તિલક વર્મા તથા જસપ્રીત બુમરાહ વિશેની બનાવટી સ્ટોરી વાઇરલ કરવામાં આવી હતી. હાર્દિકે ૨૦૨૦માં કોવિડકાળ દરમ્યાન સર્બિયાની અભિનેત્રી નતાશા સ્ટૅન્કોવિચ સાથે લગ્ન કર્યાં હતાં અને જુલાઈ ૨૦૨૪માં બન્ને અલગ થઈ ગયાં હતાં. તેમને અગસ્ત્ય નામનો એક પુત્ર પણ છે.
