સૌરાષ્ટ્રના બૅટર જય ગોહિલને સરફરાઝ ખાનના સ્થાને દુલીપ ટ્રોફી માટેની વેસ્ટ ઝોન ટીમમાં સ્થાન મળ્યું છે. ફર્સ્ટ ક્લાસ ડેબ્યુમાં ૨૨૭ રનની શાનદાર ઇનિંગ્સ રમનાર જય ગોહિલ હવે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ રમશે.
જય ગોહિલ
સરફરાઝ ખાન નૅશનલ ડ્યુટી માટે શ્રીલંકા ગયો હોવાથી દુલીપ ટ્રોફી માટેની વેસ્ટ ઝોનની સ્ક્વૉડમાં તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની આ ટીમમાં ભાવનગરના પચીસ વર્ષના બૅટર જય ગોહિલને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્વિક દેસાઈ પછી આ ટીમમાં સ્થાન મેળવનાર તે સૌરાષ્ટ્રનો બીજો ખેલાડી છે.
જય ગોહિલે ડિસેમ્બર ૨૦૨૨માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડેબ્યુ મૅચમાં આસામ સામે પહેલી ઇનિંગ્સમાં ત્રીજા ક્રમે રમીને ૨૪૬ બૉલમાં ૩૨ ફોર અને બે સિક્સની મદદથી ૨૨૭ રન કર્યા હતા. તેણે ૧૨ ફર્સ્ટ ક્લાસ મૅચોમાં ૪૮ની ઍવરેજથી બે સદી અને ૪ ફિફ્ટીના આધારે કુલ ૮૬૦ રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં ચંડીગઢ સામે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેણે ૯૮ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી.
