કોર્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૯ આરોપીઓને હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. કોર્ટનું કહેવું છે કે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયા બાદ જ કેસની ઔપચારિક સુનાવણી અને ટ્રાયલ-પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
હૈદરાબાદના થિયેટરમાં પુષ્પા 2 પ્રીમિયર દરમ્યાન થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને સમન્સ
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગને લગતા કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ નામપલ્લી ક્રિમિનલ કોર્ટે સમન્સ જારી કર્યું છે. કોર્ટ દ્વારા અભિનેતાને બાવીસ જૂને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ૨૦૨૪ની ચોથી ડિસેમ્બરનો છે. આ દિવસે ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમ્યાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકત્ર થઈ હતી. આ દરમ્યાન અલ્લુ અર્જુન પ્રીમિયરમાં હાજરી આપવા પહોંચતાં અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં એમ. રેવતી નામની એક મહિલાનું મોત થયું હતું અને તેનો દીકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી અને સુરક્ષાવ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા.
પોલીસનો આરોપ છે કે ભીડનિયંત્રણ અને સુરક્ષાવ્યવસ્થામાં બેદરકારી રાખવામાં આવી હતી જેના કારણે આ દુર્ઘટના બની. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ ઘટનાની જવાબદારી કયા-કયા સ્તરે નક્કી થાય છે. આ કેસમાં કુલ ૨૩ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે જેમાં અલ્લુ અર્જુનને આરોપી નંબર ૧૧ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૯ આરોપીઓને હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. કોર્ટનું કહેવું છે કે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર થયા બાદ જ કેસની ઔપચારિક સુનાવણી અને ટ્રાયલ-પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
