પ્રોડક્શન-હાઉસે ડિરેક્ટર આદિત્ય ધરને આવી વિનંતી કરી હોવાના રિપોર્ટ
‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ને બૉક્સ-ઑફિસ પર સારીએવી સફળતા મળી હતી. એ પછી મેકર્સે તરત જ તેના બીજા ભાગની જાહેરાત કરી હતી. હવે ફિલ્મની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મની રિલીઝ-ડેટ નજીક આવતાં એની ચર્ચા અને ઉત્સાહ સતત વધી રહ્યાં છે. આ દરમ્યાન હવે ફિલ્મના ત્રીજા ભાગને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
રિપોર્ટ મુજબ પ્રોડક્શન-હાઉસ જિયો સ્ટુડિયોઝે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરને ‘ધુરંધર 3’ બનાવવા માટે વિનંતી કરી છે. કહેવાઈ રહ્યું છે કે જિયો સ્ટુડિયોઝ આ ફિલ્મને એક મોટું સિનેમૅટિક યુનિવર્સ બનાવવા માગે છે. જોકે હજી સુધી આદિત્ય ધરે આ પ્રસ્તાવને લઈને સંમતિ આપી છે કે નહીં એની સત્તાવાર માહિતી જાણવા નથી મળી.
મળતી માહિતી પ્રમાણે આદિત્ય ધર પાસે ‘ધુરંધર 3’ માટે એક વિચાર છે, કારણ કે આ પ્રકારનો વિષય અનેક ભાગોમાં વિસ્તારી શકાય એવો છે. ‘ધુરંધર’ની લોકપ્રિયતા અને સીક્વલને લઈને
ADVERTISEMENT
સર્જાયેલો ક્રેઝ જોતાં ત્રીજો ભાગ બનવાની શક્યતાને નકારી શકાય એમ નથી. જોકે ત્રીજા ભાગ વિશે આદિત્ય ધરે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી, પરંતુ જિયો સ્ટુડિયોઝનું ધ્યાન હાલમાં ત્રીજા ભાગની યોજના પર કેન્દ્રિત છે. ચર્ચા છે કે જિયો સ્ટુડિયોઝે આદિત્ય ધરને ‘ધુરંધર : ધ રિવેન્જ’માં એક પોસ્ટ-ક્રેડિટ સીન ઉમેરવાની સલાહ પણ આપી છે. આ સીન દ્વારા ‘ધુરંધર 3’ બનવાની સંભાવના વિશે સંકેત આપવામાં આવી શકે, જેથી દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા અને ચર્ચા જળવાઈ રહે.
