દિલજીત દોસાંઝની બહુચર્ચિત ફિલ્મ ‘સતલુજ’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષો સુધી સેન્સર સર્ટિફિકેટના વિવાદમાં અટવાયેલી આ ફિલ્મ આખરે 3 જુલાઈએ ZEE5 પર અનકટ વર્ઝનમાં રિલીઝ થઈ હતી.
દિલજીત દોસાંઝ (સૌજન્ય મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- ભારતમાં "સતલુજ" ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- આ પાછળનું કારણ શું છે?
- દિલજીતની ફિલ્મ OTT પ્લેટફોર્મ ZEE5 પરથી બે દિવસમાં જ કેમ હટાવવામાં આવી?
દિલજીત દોસાંઝની બહુચર્ચિત ફિલ્મ ‘સતલુજ’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષો સુધી સેન્સર સર્ટિફિકેટના વિવાદમાં અટવાયેલી આ ફિલ્મ આખરે 3 જુલાઈએ ZEE5 પર અનકટ વર્ઝનમાં રિલીઝ થઈ હતી. જોકે રિલીઝના માત્ર બે દિવસ બાદ જ પ્લેટફોર્મે ફિલ્મને ભારતમાં સ્ટ્રીમિંગમાંથી હટાવી દીધી છે. આ નિર્ણય બાદ ફિલ્મ, સેન્સરશિપ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
શું છે ફિલ્મની વાર્તા?
ADVERTISEMENT
‘સતલુજ’નું મૂળ નામ ‘પંજાબ 95’ હતું. ફિલ્મ જાણીતા માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન પરથી પ્રેરિત છે. ખાલરાએ 1980 અને 1990ના દાયકામાં પંજાબમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન કથિત રીતે ગેરકાયદેસર રીતે થયેલા હજારો અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કારનો મુદ્દો ઉજાગર કર્યો હતો. તેમની તપાસે દેશ-વિદેશમાં ભારે ચર્ચા જગાવી હતી.
1995માં જસવંત સિંહ ખાલરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની હત્યા થઈ હતી. આ કેસમાં અનેક પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રાજકીય અને ઐતિહાસિક રીતે અત્યંત સંવેદનશીલ વિષયને કારણે ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ હતી.
CBFC સાથે વર્ષો સુધી ચાલ્યો વિવાદ
ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે નિર્માતાઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસેથી મંજૂરી મળી શકી નહોતી. નિર્માતાઓના જણાવ્યા મુજબ બોર્ડે ફિલ્મમાં 120થી વધુ ફેરફારો કરવાની માંગણી કરી હતી. એટલું જ નહીં, ફિલ્મના મુખ્ય પાત્રનું નામ બદલવાની પણ સલાહ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ કારણોસર ફિલ્મનું થિયેટર રિલીઝ વર્ષો સુધી અટવાયેલું રહ્યું.
લાંબા સંઘર્ષ બાદ ફિલ્મ 3 જુલાઈએ ZEE5 પર અનકટ વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ 5 જુલાઈએ પ્લેટફોર્મે ફિલ્મને ભારતીય દર્શકો માટે હટાવી દીધી. જોકે ZEE5એ આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી.
પ્લેટફોર્મે માત્ર એટલું જણાવ્યું કે "હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી ફિલ્મ ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં. અમે યોગ્ય પ્રક્રિયા દ્વારા શક્ય તેટલી વહેલી તકે ફિલ્મને ફરી દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." ZEE5એ ફિલ્મને હટાવવાનો સંબંધ અગાઉના સેન્સર વિવાદ અથવા કોઈ કાનૂની આદેશ સાથે સત્તાવાર રીતે જોડ્યો નથી.
દિલજીત દોસાંઝની પ્રતિક્રિયા
ફિલ્મ હટાવવામાં આવ્યા બાદ દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ગામના લોકો મોટી સ્ક્રીન પર ‘સતલુજ’ જોઈ રહ્યા હતા. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું હતું કે, "હવે આ ફિલ્મને કોઈ રોકી શકશે નહીં. જસવંત સિંહ ખાલરાની અવાજને કોઈ દબાવી શકતું નથી."
ત્યારબાદ એક લાઇવ સેશન દરમિયાન દિલજીતે કહ્યું કે ફિલ્મનો મુખ્ય હેતુ નવી પેઢીને જસવંત સિંહ ખાલરાની કહાની સુધી પહોંચાડવાનો હતો અને તે હેતુ સફળ રહ્યો છે.
Hun Ni Rukni Film
— DILJIT DOSANJH (@diljitdosanjh) July 5, 2026
Khalra Saab Di Avaaz Nu Koi Ni Dabaa Sakda
? pic.twitter.com/sXsMvoPSK2
તેમણે કહ્યું, "મને ખુશી છે કે બે દિવસમાં જ હજારો લોકોએ ફિલ્મ જોઈ. ઘણા લોકોએ તેને ડાઉનલોડ પણ કરી લીધી છે. હવે ફિલ્મ હટાવી દેવાથી તેની અસર ઓછી નહીં થાય. ચાર વર્ષથી અમે આ ફિલ્મ માટે લડી રહ્યા હતા અને અમને અંદાજ હતો કે આવું થઈ શકે છે."
દિલજીતે વધુમાં ઉમેર્યું કે ઇન્ટરનેટ પર એકવાર કોઈ સામગ્રી આવી જાય પછી તેને સંપૂર્ણપણે રોકવી શક્ય નથી અને જસવંત સિંહ ખાલરાનું બલિદાન ભૂલાવી શકાય તેમ નથી.
ફરી ચર્ચામાં આવી સેન્સરશિપ
હની ત્રેહાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, અર્જુન રામપાલ અને સુવિંદર વિક્કી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ પંજાબના સૌથી સંવેદનશીલ ઐતિહાસિક સમયગાળામાં માનવાધિકાર ઉલ્લંઘનના આક્ષેપોને કેન્દ્રમાં રાખે છે.
View this post on Instagram
ZEE5 દ્વારા ફિલ્મ હટાવવાના નિર્ણય પાછળનું સત્તાવાર કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનાએ ફિલ્મની લાંબી અને વિવાદાસ્પદ સફરને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. સાથે જ ભારતની ફિલ્મ સેન્સરશિપ, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઐતિહાસિક ઘટનાઓના ફિલ્મી ચિત્રણ અંગેનો વિવાદ પણ ફરી ગરમાયો છે.
