‘ડૉન 3’ છોડવા બદલ ૪૦ કરોડ રૂપિયાનું વળતર માગતાં રણવીર સિંહે આ દલીલો કરી
રણવીર સિંહ
રણવીર સિંહને લઈને ‘ડૉન 3’ની જાહેરાત ૨૦૨૩માં કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કિઆરા અડવાણી ફીમેલ લીડ તરીકે જોવા મળવાની હતી અને ડિરેક્ટર ફરહાન અખ્તર હતો. આ ફિલ્મનું નિર્માણ ફરહાનના બૅનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ થવાનું હતું. જોકે ફિલ્મને લઈને શરૂઆતથી જ વિલંબ થયો છે. હાલમાં એવા સમાચાર હતા કે ક્રીએટિવ મતભેદોને કારણે રણવીરે પ્રોજેક્ટ છોડ્યો છે એને કારણે નાણાકીય વિવાદ ઊભો થયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટે રણવીર સિંહ પાસે નુકસાની પેટે ૪૦ કરોડ રૂપિયા માગ્યા છે.
જોકે હવે ચર્ચા પ્રમાણે આ મામલાને ઉકેલવા માટેની પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઑફ ઇન્ડિયાની એક મીટિંગ દરમ્યાન રણવીર સિંહે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પર ‘અનપ્રોફેશનલિઝમ’નો આરોપ મૂક્યો છે. તેણે કહ્યું હતું કે પ્રોડક્શન-હાઉસ ‘ડૉન 3’ને ફ્લોર પર લઈ જવા બાબતે ગંભીર નહોતું. રણવીરે દાવો કર્યો હતો કે ફરહાન અખ્તર પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ તૈયાર નહોતી અને એક અભિનેતા તરીકે એ ડેવલપ થયેલી સ્ક્રિપ્ટ પર જ કામ કરે છે. રિપોર્ટ મુજબ રણવીરે એવો આરોપ પણ લગાવ્યો હતો કે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પહેલાં મારે બદલે આ ફિલ્મમાં હૃતિક રોશનને ફિલ્મમાં લેવા વિશે વિચાર કરી રહ્યું હતું અને ‘ધુરંધર’ની સફળતા બાદ ફરીથી મારો સંપર્ક કરવામાં આવ્યો જેથી મારા સ્ટારડમનો લાભ લઈ શકે.


