જિયો સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરેલી ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’ ફિલ્મોએ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સફળતાનો નવો માપદંડ તૈયાર કર્યો છે.
મુકેશ અંબાણી
જિયો સ્ટુડિયોએ પ્રોડ્યુસ કરેલી ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’ ફિલ્મોએ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સફળતાનો નવો માપદંડ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ફ્રૅન્ચાઇઝીએ કુલ મળીને ૩૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને પોતાની બ્લૉકબસ્ટર પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.
હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ શૅરહોલ્ડર્સને લખેલા પોતાના એક પત્રમાં આ ફ્રૅન્ચાઇઝીની શાનદાર સિદ્ધિઓ પર વિશેષ ભાર મૂક્યો છે. જિયો સ્ટુડિયોઝની તાજેતરની સફળતાઓ વિશે વાત કરતાં મુકેશ અંબાણીએ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું શ્રેય ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીને આપ્યું છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘જિયો સ્ટુડિયોઝે સતત ૩ વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ આપવાનો એક અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. ૨૦૨૪માં ‘સ્ત્રી 2’, ૨૦૨૫માં ‘ધુરંધર’ અને ૨૦૨૬માં ‘ધુરંધર: ધ રિવેન્જ’. આ અમારી સતત સફળતા અને લીડરશિપને સાબિત કરે છે. ફાઇનૅન્શિયલ યર ૨૦૨૫-’૨૬ દરમ્યાન જિયો સ્ટુડિયોઝે રેકૉર્ડતોડ જાસૂસી ઍક્શન થ્રિલર ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ (સંયુક્ત રીતે ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝી) રિલીઝ કરી જેણે વિશ્વભરમાં બૉક્સ-ઑફિસ પર્ફોર્મન્સ, રિલીઝ સ્ટ્રૅટેજી, મૉનેટાઇઝેશન મૉડલ અને કસ્ટમર એન્ગેજમેન્ટના નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. ભારત તો દૂર, દુનિયામાં પણ કોઈ ફિલ્મ-ફ્રૅન્ચાઇઝીને બે ભાગમાં કલ્પના કરીને, ફાઇનૅન્સ કરીને અને શૂટિંગ પૂર્ણ કર્યા બાદ આટલા ઓછા અંતરે રિલીઝ કરવામાં આવી નથી. આ ફ્રૅન્ચાઇઝીના પ્રથમ ભાગે એકલાએ સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બનવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મ સતત ૧૫ અઠવાડિયાં સુધી થિયેટરમાં ચાલી હતી જે એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી. ત્યાર બાદ ભારે ઉત્સુકતા વચ્ચે એનો બીજો ભાગ રિલીઝ થયો અને એણે પ્રથમ ભાગના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા.’
