મુકેશ ખન્નાએ કહ્યું કે પાન મસાલાની જાહેરાત કરવા માટે શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફે જાહેર માફી માગવી જોઇએ, તેમણે આ જાહેરાત પર કટાક્ષ કરતાં કહ્યું કે આ કલાકારો બજારમાં ‘કેસરિયા આદાબ’ કરતા ફરી રહ્યા હતા.
જ્યારે કોઈ આદાબ કરીને ઇશારાથી કહે છે કે ગુટકા ખાઓ ત્યારે આ જોઈને શરમ આવે છે
હાલમાં શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) તરફથી પાનમસાલાની આડકતરી જાહેરાત કરવા બદલ ‘શો કૉઝ નોટિસ’ પાઠવવામાં આવી હતી. મુકેશ ખન્નાએ આ નોટિસનું સમર્થન કરીને સ્ટાર્સને જાહેરમાં માફી માગવાની સલાહ આપી છે. તેમણે આ જાહેરાત પર કટાક્ષ કરતાં કહ્યું કે આ કલાકારો બજારમાં ‘કેસરિયા આદાબ’ કરતા ફરી રહ્યા હતા.
મુકેશ ખન્નાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો સાથેની પોસ્ટમાં લખ્યું હતું કે ‘કેસરિયા આદાબ માટે નથી હોતો; શૌર્ય, સાહસ અને પરાક્રમ માટે હોય છે. જ્યારે કોઈ આદાબ કરીને ઇશારાથી કહે છે કે ગુટકા ખાઓ ત્યારે આ જોઈને શરમ આવે છે. અને જ્યારે આવું કરનાર લોકોના મનપસંદ કલાકારો હોય ત્યારે શરમની હદ થઈ જાય છે. જ્યારે આ કલાકારો પાસે બધું જ છે અને તેઓ યુવાનોને સારા માર્ગે લઈ જઈ શકે છે ત્યારે તેમને યુવાનોને ખરાબ દિશામાં લઈ જતી જાહેરાત કરવાની જરૂર શા માટે પડે છે? FDA દ્વારા નોટિસ મોકલવામાં આવી હોવાથી હું બહુ ખુશ છું અને હવે દુનિયા તેમના જવાબની રાહ જોઈ રહી છે. ભલે આ સ્ટાર્સ એને ઇલાયચીની જાહેરાત કહેતા હોય, પરંતુ આડકતરી રીતે તેઓ એવી જ બ્રૅન્ડને પ્રમોટ કરી રહ્યા છે જેના ગુટકા મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત છે. આ કલાકારોને કદાચ વર્ષોથી કરોડો રૂપિયા મળી રહ્યા હતા અને સરકારને પણ એમાંથી આવક થતી હશે. જો સ્ટાર્સે ખોટી જાહેરાત કરી હોય તો હવે તેમની ફરજ બને છે કે તેઓ આગળ આવીને યોગ્ય સંદેશ આપે અને લોકોને જણાવે કે આવી વસ્તુ ખાવા માટે નથી.’
