આ ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે
‘શમશેરા’નો સીન
‘શમશેરા’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય એવી શક્યતા વર્તાઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ અને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને આ વર્ષે ૧૮ માર્ચે રિલીઝ કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે મહામારીને જોતાં ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી છે. એવી અનેક ફિલ્મો છે જેને થિયેટર્સમાં રિલીઝ નથી કરવામાં આવી રહી. આ જ કારણ છે કે ‘શમશેરા’ને ઑનલાઇન રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. ફિલ્મને લઈને કરણ મલ્હોત્રાએ કહ્યું કે ‘આ પૂરી રીતે પ્રોડ્યુસરની ઇચ્છાની વાત છે. મારી લાઇફમાં મેં જેની સાથે કામ કર્યું છે એમાંના તેઓ એક ઍક્ટિવ પ્રોડ્યુસર છે. તે બધું સારી રીતે જાણે છે અને મેં બધું તેમના પર છોડ્યું છે. તેઓ એક્સપર્ટ છે અને જ્યાં સુધી ‘શમશેરા’ની વાત છે તો મેં મારી ક્રીએટિવ સ્પેસને ખૂબ એન્જૉય કરી છે. મેં ખૂબ મહેનતથી ફિલ્મ બનાવી છે અને એને સારી રીતે બનાવવામાં ખૂબ પ્રયાસ કર્યો છે. હવે બધું આદિત્ય પર આધાર રાખે છે. કેવી રીતે રિલીઝ કરવી, તેનો શું પ્લાન છે એ બધું હવે તેના હાથમાં છે. એક ડિરેક્ટર તરીકે મેં બેસ્ટ આપ્યું છે અને હવે અમારી પાસે બેસ્ટ પ્રોડ્યુસર છે જે એને આગળ લઈ જશે. એનાથી વિશેષ શું હશે?’
‘શમશેરા’ પ્રત્યેના એક્સાઇટમેન્ટને લઈને કરણ મલ્હોત્રાએ કહ્યું કે ‘હું ‘શમશેરા’ને લઈને આશાન્વિત છું. આશા છે કે એ જલદી રિલીઝ થાય. આપણે બધા એને ખૂબ એન્જૉય કરીશું. હાલમાં ‘શમશેરા’ વિશે કંઈ ન કહી શકું. આપણે હાલમાં એવા સમયમાં છીએ કે જ્યાં સમય અણધાર્યો છે. અમે હજી સુધી ફિલ્મને લઈને પીઆર ઝોનમાં નથી આવ્યા. યોગ્ય સમયે અમે એના વિશે ચોક્કસ જણાવીશું.’