આવો દાવો કરતાં સંજય લીલા ભણસાલીએ પોતાના જન્મદિવસે પણ સેટ પર જ રહેવાનું પસંદ કર્યું
સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી ઘણી સુપરહિટ ક્લાસિક ફિલ્મો આપ્યા બાદ હવે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલને ચમકાવતા પોતાના કારકિર્દીના સૌથી મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંના એક ‘લવ ઍન્ડ વૉર’ની તૈયારીમાં વ્યસ્ત છે. સંજય લીલા ભણસાલી પોતાની આ ફિલ્મમાં એટલા વ્યસ્ત છે કે તેમણે પોતાના જન્મદિવસે પણ સેટ પર જ રહેવાનું પસંદ કર્યું હતું.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જન્મદિવસે કામ કરવા વિશે સંજય લીલા ભણસાલીએ જણાવ્યું હતું કે ‘કામ જ એવી વસ્તુ છે જે મારી ઓળખ બનાવે છે. જ્યારે મારી પાસે કામ ન હોય ત્યારે મને પોતાનું કોઈ મૂલ્ય લાગતું નથી. એક કલાકાર તરીકે હવે હું પહેલાં કરતાં વધુ નીડર થયો છું અને જોખમ લેવા તૈયાર છું. આજે હું પાંચ અથવા દસ વર્ષ પહેલાંની તુલનામાં વધુ મહેનત કરી રહ્યો છું. હું દરરોજ લગભગ ૨૦ કલાક કામ કરું છું અને મને એમાં આનંદ આવે છે.’
સંજય લીલા ભણસાલીના પરિવારની સ્પષ્ટતા: હાર્ટ-અટૅક નથી આવ્યો, તેઓ બિલકુલ સ્વસ્થ છે
ADVERTISEMENT
હાલમાં સમાચાર આવ્યા હતા કે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીને મંગળવારે તેમની ૬૩મી વર્ષગાંઠે હાર્ટ-અટૅક આવ્યો હતો જેના કારણે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ સમાચારોને ખોટા ગણાવીને ગઈ કાલે તેમના પરિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘સંજય લીલા ભણસાલી બિલકુલ સ્વસ્થ છે અને માત્ર રૂટીન મેડિકલ ચેકઅપ માટે હૉસ્પિટલ ગયા હતા. ચિંતા કરવાની કોઈ વાત નથી. સૌના પ્રેમ અને દુઆઓ માટે આભાર.’
